દુબઈથી યમન જતા જહાજમાં આગ લાગતા ક્રૂ મેમ્બર દરિયામાં કૂદ્યા

દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધ દરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું હતું પણ તેમાં સવાર તમામ ૧૫ ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી પડ્યા હતા જેમની વહારે આવેલા એક કાર્ગો ભરેલા શીપે તેમને બચાવી લેતાં આ દુર્ઘટનામાં જાન હાનિ ટળી હતી. બે વર્ષ પહેલાં માંડવી આવેલા સાલેમામદ આદમ સમેજા અને તેના ભાઇ ઇબ્રાહિમ આમદ સમેજાની માલિકીનું અને ૪ કરોડના ખર્ચે નિર્મિત એમએનડી ૨૧૭૨ નંબર વાળું અલ આલમ જહાજ તા. ૧૨/૮ના દુબઇથી એક હજાર ટન કાર્ગો ભરીને યમન જવા નીકળ્યું હતું.

ભારતીય સમય મુજબ સવારે મચ્છીરા ટાપુ નજીક હતું ત્યારે તેમાં ભીષણ આગ ફાટી હતી. જહાજના કેપ્ટન નૌસાદ જુસબની સાથે તમામ ખલાસીઓએ સમય સૂચકતા દર્શાવીને સાગરમાં કૂદી પડ્યા હતા. તે વખતે પસાર થતા અન્ય એક કાર્ગો શીતે તમામને બચાવી લીધા હતા તેમ વહાણવટી એસોસિયેશનના પ્રમુખ હાજી આદમ સિદ્દિક થૈમે જણાવતાં તમામ ક્રૂ મેમ્બર સલાયાના હોવાનું તેમણે ઉમેર્યું હતું. બચી ગયેલા તમામ ખલાસીઓ મધ દરિયે હોતાં કયા બંદરે ઉતરશે તે જાણી શકાયું ન હતું.