અમદાવાદના વસ્ત્રાલમાં રામોલ-ગતરાડ રોડ પર મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ

ફટાકડા ફેક્ટરીમાં આગ બાદ ગંભીર ઈજાગ્રસ્તોને LG અને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં RAF કેમ્પની પાછળ મહેમદપુરામાં ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. પોલીસે ફેક્ટરીના સંચાલકો સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં જ મુખ્ય આરોપી મેહુલ ડોડીયા અને તેના અન્ય બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન અને ફેક્ટરી ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, આ ગંભીર દુર્ઘટના અંગે તપાસની પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલુ છે. પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ અકસ્માત માટે જવાબદાર તેમજ ગેરકાયદેસર કામગીરી કરનારા શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સમગ્ર ઘટના મુદ્દે એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી છે અને આ સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.

બપોરના સમયે રામોલ-ગતરાડ રોડ પરની મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સમગ્ર ઘટનાને પગલે અસલાલી-મીની ફાઇટર, ગજરાજ, એમ્બ્યુલન્સ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.

ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોમાંથી 5ને એલજી હોસ્પિટલ અને 4 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ઘટનાની જાણ થતાં મેયર, કમિશનર સ્થળ પર પહોંચ્યા છે. મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હોવાનું જણાય છે. દુર્ઘટનાને લઈને સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખવામાં આવ્યો છે.

આગની ઘટના પર ઝોન-1 DCPએ આપેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે અને 9 લોકો હાલમાં ઈજાગ્રસ્ત હાલતમાં છે. ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બાદ નજીકમાં આવેલા વસ્ત્રાલ RAF કેમ્પના જવાનો ત્યાં મદદ માટે દોડી ગયા હતા. સાથે જ લોકલ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તરત પહોંચી હતી. આગ અત્યારે કાબૂમાં છે અને રામોલ પોલીસ દ્વારા આ મુદ્દા ઉપર ઈરાદાપૂર્વક હત્યાનો ગુનો દાખલ કરીને તથા એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે તમામ કલમો લગાવીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આગની ઘટનાને લઈને PMOએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. સાથે જ મૃતકોના સ્વજનોને PMNRFમાંથી 2 લાખની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા મૃતકોના પરિજનોને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.

ડીસીપી ઝોન ૬- ભગીરથ ગઢવીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટના બની છે તે અનુસંધાને ઈજાગ્રસ્તોને મણીનગર એલ.જી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમાંથી 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 4 લોકોની સારવાર હાલ ચાલી રહી છે. થોડી ઈજા વધારે ગંભીર છે. ઈજાગ્રસ્તોની ઉંમર હાલમાં જાણી શકાઈ નથી. ઈજાગ્રસ્તોમાં 2 મહિલા અને 2 પુરુષ છે. તેમાં નાના બાળકો હોવાનું પણ જણાય છે. હજુ તેમના નામ કે સંબંધીઓનો સંપર્ક થઈ શક્યો નથી. મૃતકોના સંબંધીઓનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા RAF કેમ્પના પાછળના ભાગમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી. મેહુલ ડોડીયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. અગાઉ મેહુલ ડોડીયાનું લાયસન્સ રદ્દ થયેલું છે. સમગ્ર મુદ્દે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. હત્યા અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news