વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે વરસાદ

અમદાવાદ: નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રીના પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી વિધ્ન નડી શકે છે. પહેલા અને બીજા નોતરે ખેલૈયાઓ માટે વરસાદ વિલન બને તેવી શક્યતા છે. હવામાન વિભાગે નવરાત્રીના પ્રથમ બે દિવસ વરસાદ રહે તેવી શક્યતા દર્શાવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. પહેલા અને બીજા નોતરે એટલે કે ૧૫ અને ૧૬ ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દમણમાં વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે.