માત્ર ૪ દિવસમાં ૭૬ હજારથી વધુ વૃક્ષના રોપાઓનું વાવેતર કરાયું

સમગ્ર નવસારી જિલ્લાની શાળાઓમાં જિ.પ્રા.શિક્ષણાધિકારી રોહિતભાઇ ચૌધરીના દિશા નિર્દેશ પ્રમાણે તા.૨૭ જુનથી ૩૦મી જુન સુધીમાં અમૃત વન બનાવવા માટેનું ખાસ આયોજન ઝુંબેશ સ્વરૂપે પાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લાની સરકારી-ખાનગી પ્રા. શાળાઓમાં, કમ્પાઉન્ડ બહાર અને વિદ્યાર્થીઓને પોતાના ઘરની આજુબાજુ વાવેતર માટે આપવામાં આવ્યા હતા. આમ સમગ્ર જિલ્લામાં કુલ ૭૫,૦૦૦ રોપાઓનું વાવેતર કરવાના લક્ષ્યાંક સામે કુલ ૭૬૮૦૧ રોપાઓનું વાવેતર કરાયું હતુ. જે આયોજન માટે જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ હસ્તકની શાળા, જિલ્લાના રેંજના વિસ્તારમાં આવેલ નર્સરીમાંથી રોપાઓ વિનામૂલ્યે અપાયા હતા. જે રોપાઓનું વાવેતર દરેક શાળામાં કે શાળાની બહાર યોગ્ય પોષણ, રક્ષણ અને જતન કરવાની જવાબદારી સાથે શાળાઓ દ્વારા વાવેતર કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પણ પોતાના ઘરની આસપાસ ખુલ્લી જગ્યામાં વાવેતર માટે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંકલન હેઠળ જિલ્લાના તમામ તાલુકાના બી.આર.સી.ઓના સહકારથી સમગ્ર શાળાઓમાં ઉત્સવ સ્વરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. નવસારી જિલ્લો સામાજીક વનીકરણ ક્ષેત્રે અગ્રેસર રહે તેવો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો.નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્રારા નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સામાજીક વનીકરણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. જેમાં જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળાના કમ્પાઉન્ડમાં કે શાળાની બહાર સરકારી કે પડતર જમીનમાં કુલ ૭૫૦૦૦ વૃક્ષોના રોપાનું વાવેતર કરવાનું આયોજન નકકી કરવામાં આવેલ હતુ.