ગીર સોમનાથમાં ભારે વરસાદથી માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ જિલ્લાના છએ છ તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સવાર ૬થી ૧૦ વાગ્યા સુધીમાં (ચાર કલાકમાં) સુત્રાપાડામાં ૮૩ મિમી(૩.૫ ઈંચ), વેરાવળમાં ૨૯ મિમી (૧.૫ ઇંચ), તાલાલામાં ૩ મિમી, ગીર-ગઢડામાં ૬૧ મિમી (૨.૫ ઈંચ), કોડીનારમાં ૩૦ મિમી (૧.૫ ઈંચ) અને ઉનામાં ૬૭ મિમી (૨.૫ ઈંચ) વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં દરિયાઈપટ્ટીના તાલુકાઓની સાથે જંગલ વિસ્તાર નજીક આવેલા તાલુકાઓમાં પણ વરસાદ વરસવાનું શરૂ થતાં લોકોના જીવ તાવળે ચોંટી ગયા છે.  સુત્રાપાડા પંથકમાં સૌથી વધુ ૩.૫ ઈંચ વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાઈ જવાને લીધે પાકોને માતબર નુકસાન થવાની ભીતિથી ખેડૂતો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાયા છે, જ્યારે કોડીનાર અને વેરાવળ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોવાથી થોડીઘણી રાહત જોવા મળી રહી છે. જોકે હજુ બન્ને પંથકના આકાશમાં વાદળો ઘેરાયેલાં હોવાથી સંભવતઃ ભારે વરસાદ વરસવાની શક્યતા વર્તાઈ રહી છે. તો સવારથી ઉના અને ગીર-ગઢડા પંથકમાં મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. બન્ને પંથકમાં ચાર કલાકમાં ૨.૫ ઈંચ જેવો વરસાદ વરસાવી દેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હજુ બન્ને તાલુકાઓમાં વરસાદ વરસશે તેવો માહોલ છવાયેલો છે.

ગીર જંગલમાં અને સુત્રાપાડા પંથકમાં બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે યાત્રાધામ પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં વરસાદી પાણીની ભરપૂર આવકને પગલે પૂર આવ્યું હતું, જેના પગલે નદીના પટમાં આવેલું પ્રખ્યાત પ્રાચી તીર્થનું માધવરાયજી ભગવાનનું મંદિર નદીના પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આમ, નદીમાં આવેલા નવા નીરમાં માધવરાયજી પ્રભુ પાણીમાં જળમગ્ન થયાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ સમયે સરસ્વતી નદીમાં પૂર આવે ત્યારે માધવરાયજીનું મંદિરના જળમગ્નનાં દૃશ્યો જોવા મળે છે. એવી જ રીતે ચાલુ વર્ષે સીઝનમાં પ્રથમવાર મંદિર જળમગ્ન થયું છે.ગીર સોમનાથ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હોય એમ વરસાદ વરસાવવાનું શરૂ કર્યું છે. જિલ્લાના છએ છ તાલુકામાં સવારે ચાર કલાકમાં સરેરાશ ૧થી ૩.૫ ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડામાં ૩.૫ ઈંચ તો સૌથી ઓછો તાલાલામાં માત્ર ૩ મિમી વરસાદ નોંધાયો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદી-નાળાંમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

સુત્રાપાડા પંથકની સરસ્વતી નદીમાં પૂર આવતાં સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થનું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તો સુત્રાપાડા અને કોડીનાર પંથકનાં ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલાં હોવાથી ખેડૂતોની મૂંઝવણ વધી ગઈ છે, જ્યારે સુત્રાપાડાના ધામળેજ ગામમાં પાણીનો ટાંકો જમીનમાં બેસી ગયો છે.