ગુજરાત હાર્ટ એટેકઃ વડોદરામાં એકનું તો ભાવનગર અને સુરતમાં ૩-૩નાં મોત

એક યુવકનું વિદેશમાં મોત થયું , કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે


અમદાવાદઃ હાર્ટ એટેક હજી ગુજરાતમાં કેટલાયના જીવ લેશે. ગુજરાતમાં હાર્ટ એકેટ હવે કિલર બની રહ્યો છે. ગુજરાતમા હાર્ટએટેકથી રોજના ચારથી પાંચ મોત તો સામાન્ય થઈ ગયા છે. ત્યારે રવિવાર ગોઝારો સાબિત થયો હતો. રવિવારના દિવસે ગુજરાતમાં ૮ લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા. વડોદરામાં એકનું તો ભાવનગર અને સુરતમાં ૩-૩નાં મોત થયા હતા. અન્ય એક વડોદરાના યુવાનનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોતની ઘટની બની છે.

ભાવનગરમાં હાર્ટ એટેકના કારણે ૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૪૦ વર્ષીય જગદીશ જાદવનું હાર્ટ એટેકથી મોત થયું. તો જ્યારે ૫૮ વર્ષીય લક્ષ્મણદાસ આસવાણીનું હાર્ટ એટેકથી મોત થયું. તો રાજુલાથી ભાવનગર આવતા સમયે ઉમેશ માંડલિયા નામના શખ્સનું પણ મોત નિપજ્યું છે.  તો બીજી તરફ, વડોદરાના એક યુવકનું વિદેશમાં હાર્ટ એટેકથી મોત થયું છે. મધ્યમવર્ગીય પરિવારના દીકરાએ કામ કરતા કરતા જીવ ગુમાવ્યો. વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટ એટેક આવ્યો હતો. પ્રકાશ કામ કરતા સમયે જ અચાનક જ ઢળી પડ્યો હતો. તેના મોતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પેટિયું રળવા વિદેશ ગયેલા યુવકને હાર્ટ એટેક આવતા પરિવારમાં આઘાત છવાયો છે. દરજી કામ કરતો પ્રકાશ ચૌહાણ ઘણા સમયથી કુવૈતમાં સ્થાયી થયો હતો. હવે કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.

ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.