સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટરે બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને નકારી કાઢ્યા

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આ આરોપો સૂચવે છે કે કંપનીના ડિરેક્ટરો બેંક ઓફ બરોડા પાસેથી રૂ.૧૦૦ કરોડની લોનમાં કથિત રીતે ડિફોલ્ટ થઈને દેશની બહાર ભાગી ગયા હતા. આ અંગે માહિતી આપતા હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે કશ્યપ ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના હિરેન ભાવસાર દ્વારા આવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેઓ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ સાથે વ્યવસાયિક વિવાદોનો ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે.

વધુમાં, ભૂતકાળમાં કૈલાશ લોહિયાએ કંપનીના બિહાર વોટર પ્રોજેક્ટમાં છેતરપિંડી કરી હતી. પ્રોજેક્ટ માટે સબ-પાર સોલાર પેનલ્સ/પંપ હિરેન ભાવસાર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. કૈલાશ લોહિયાએ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ ગ્રૂપ કંપનીના શેર ગેરકાયદેસર રીતે તેમના નામે ટ્રાન્સફર કર્યા હતા અને તેમની પત્ની દિશા લોહિયાના નામે નોંધપાત્ર ફંડનો દુરુપયોગ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરતની ક્રાઈમ બ્રાન્ચમાં કૈલાશ લોહિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમણે ખાસ્સા સમય સુધી જેલવાસ ગાળ્યો હતો. હાલમાં કૈલાશ લોહિયા અને દિશા લોહિયા બંને જામીન પર બહાર છે. એવું માનવાનાં કારણો છે કે કૈલાશ લોહિયા, હિરેન ભાવસાર અને અન્ય લોકો સાથે મળીને, હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસની પ્રતિષ્ઠા અને બ્રાન્ડને કલંકિત કરી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાની એસએમઈ બ્રાન્ચ, જ્યાં હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ તેનું ખાતું ધરાવે છે, તેણે ૨૫ ઓક્ટોબરના રોજ બેંક ખાતાની સંતોષકારક કામગીરીની ઈ મેઈલ પર પુષ્ટિ કરી છે કે હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસના એકાઉન્ટ્‌સ (કેશ ક્રેડિટ એકાઉન્ટ અને ટર્મ લોન એકાઉન્ટ)માં કોઈ બાકી/ઓવરડ્યૂ રકમ નથી અને આ એકાઉન્ટ્‌સ “સ્ટાન્ડર્ડ” ક્લાસિફિકેશન ધરાવે છે.

બે કંપનીઓ વચ્ચેના વિવાદોનો ઈતિહાસ રજૂ કરતા, હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે બિહાર પ્રોજેક્ટ માટે પંપ સેટના સપ્લાયમાં કશ્યપ ઈન્ફ્રાપ્રોજેક્ટ તરફથી ખામીયુક્ત મટિરિયલ અને ડિલિવરીમાં વિલંબને કારણે સમસ્યાઓ ઊભી થઈ હતી. શરૂઆતમાં ખામીયુક્ત પંપ સેટ બદલવા માટે સંમત થયા હોવા છતાં, હિરેન ભાવસારે તેનું પાલન કર્યું ન હતું અને નાણાંની વસૂલાત માટે સીઆઈડી સુરત અને અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદો નોંધાવી હતી. ત્યારપછીની પોલીસ તપાસમાં આરોપો પાયાવિહોણા હોવાનું જાહેર થયું હતું.

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ૨૦૨૨માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની અમદાવાદ બેંચ દ્વારા પણ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ સામે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ હિરેન ભાવસારની અરજી નકારી કાઢવામાં આવી હતી. એનસીએલટીમાં થયેલી પીછેહઠ બાદ, કશ્યપ ઈન્ફ્રાપ્રોજેક્ટે સીબીઆઈ ગાંધીનગરમાં અરજી કરી હતી. ત્યારપછી આ કેસ સુરતની ઈકોનોમિક ઓફેન્સ વિંગને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીઆઈ અજય રાજપૂતે તપાસ હાથ ધરી હતી અને મીડિયા અહેવાલો મુજબ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ તરફથી કોઈ ગેરરીતિના પુરાવા મળ્યા નથી.

શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિરેન ભાવસારના આક્ષેપોનો હેતુ ખંડણીના ઇરાદાથી હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ અને તેના ડિરેક્ટર્સની છબિ અને બ્રાન્ડને ખરડવાનો છે. પરિણામે, હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ અને તેના ડિરેક્ટરોએ હિરેન ભાવસાર અને કશ્યપ ઇન્ફ્રાપ્રોજેક્ટ સામે રૂ. ૫૦૦ કરોડનો ફોજદારી માનહાનિનો દાવો માંડવાની યોજના ધરાવે છે. પાયાવિહોણા આક્ષેપો કરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ એ ૨૪-વર્ષના વારસા સાથે એક નામાંકિત અને પ્રતિષ્ઠિત કંપની છે તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨,૦૦૦થી વધુ વ્યક્તિઓને રોજગારી આપે છે.

વિજય શાહ અને તેમનો પરિવાર ૨૫ વર્ષથી ભારત, થાઈલેન્ડ અને યુએસમાં બિઝનેસ કરે છે. તેઓએ ૨૫ વર્ષ પહેલા યુ.એસ.થી આરઓ સિસ્ટમ ટેકનોલોજી ભારતમાં રજૂ કરી હતી અને ભારતમાં આરઓ વોટર સિસ્ટમના પ્રણેતા છે. તેઓ અને કંપની પાયાવિહોણા અને બનાવટી આરોપોને દ્રઢતાથી નકારી કાઢે છે.