પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી ધામમાં ‘મા’ અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું

મંદિરના ગર્ભગૃહમાં પાવડી પૂજા કરી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા, ત્યાર બાદ તેમણે જનસભાને સંબોધન કર્યુ

                     અંબાજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓએ ગુજરાત પ્રવાસની શરૂઆત માઁ અંબાના દર્શન કરીને કરી છે. દિલ્હીથી સીધા તેઓ અંબાજી પહોચ્યા હતા. જ્યાં તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજીમાં જગતજનની માઁ જગદંબાના દર્શન કર્યા. મંદિરના ગર્ભગૃહમાં પાવડી પૂજા કરી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા. ત્યાર બાદ તેમણે જનસભાને સંબોધન કર્યુ હતું.

પીએમ મોદીએ પણ અંબાજી આવવાની વર્ષો જૂની પરંપરા પાળી હતી. તેમનુ હેલિકોપ્ટર સીધુ અંબાજી લેન્ડ થયુ ન હતું. તેઓ ચીખલા ખાતે તેમનુ હેલિકોપ્ટર લેન્ડ થયું, જ્યાંથી રોડ માર્ગે તેઓ અંબાજી પહોંચ્યા હતા. વર્ષોનો આ ક્રમ છે. અંબાજીમાં કોઈ પણ નેતા આવે તો તેનું હેલિકોપ્ટર અંબાજીમાં લેન્ડ થતુ નથી. હેલિકોપ્ટરને આસપાસ લેન્ડ કર્યા બાદ જ અંબાજીમાં રોડ માર્ગે આવે છે. કહેવાય છે કે, અંબાજીમાં કોઈ પણ નેતાનું હેલિકોપ્ટર ઉતરતુ નથી કે ઉડાન ભરતુ નથી. આ લોકવાયકાનું રાજકીય કનેક્શન છે. કહેવાય છે કે, ગમે તેવા મોટા નેતાનું હેલિકોપ્ટર પણ અહી લેન્ડ થતુ નથી. જો કોઈ ઉતરે તો તેની સરકાર પર મોટું સંકટ આવે છે.  ભૂતકાળ સાક્ષી છે, ગુજરાતના જે પણ સીએમે અંબાજી મંદિર પરથી ઉડાન ભરી છે તેમની ખુરશી બચી નથી શકી, અને તેઓ ફરી સીએમ પણ નથી બની શક્યા. ગુજરાતના રાજકારણમાં એવું કહેવાય છે કે, જેણે પણ અંબાજી મંદિર પરથી ઉડાન ભરી છે તેને સત્તા ગુમાવવી પડી છે. જેમાં અનેક નામ સામેલ છે.

યાત્રાધામ અંબાજી મંદિરને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ જગ્યાનો યોગાનુયોગ એવો છે કે ભૂતકાળમાં જે નેતાઓ અંબાજીમાં હેલિકોપ્ટરથી લેન્ડ થયાં છે તેમણે સત્તા ગુમાવી છે. સ્થાનિક આગેવાનો ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, ચીમન પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખના ઉદાહરણ સામે છે. કહેવાય છે કે અંબાજી મંદિર પરથી જે નેતાઓએ ઉડાન ભરી છે તેમની ખુરશી બચી નથી. તેથી ૧૯૯૬ પછી જે શાસકો આવ્યા છે તેમણે દાંતા નજીક બનાવેલા હેલીપેડનો ઉપયોગ કર્યો છે. એટલે આને અંધશ્રદ્ધા ગણો કે ડર ગણો, આમ કોઈપણ નેતાઓ હેલિકોપ્ટર દ્વારા અંબાજી આવતા નથી. નરેન્દ્ર મોદી આ યોગાનુયોગથી પરિચિત છે તેથી તેઓ પણ જ્યારે અંબાજી માતાના દર્શને જાય છે ત્યારે નજીકના કોઇ સ્થળે હેલીપેડ પર ઉતરાણ કરે છે અને ત્યાંથી તેઓ મોટરમાર્ગે અંબાજીમાં પગ મૂકે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં તેઓ પ્રથમવાર અમદાવાદના રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ સુધી સી-પ્લેનમાં ગયા હતા અને ત્યાંથી મોટરમાર્ગે અંબાજી ગયા હતા.

ગુજરાતના રાજકારણમાં એક એવી સ્ટ્રેટેજી એવી પણ જોવા મળી છે જ્યારે પણ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાની વાત હોય ત્યારે તે હરહંમેશામાં કોઈ નેતા બે કે ત્રણ દિવસ અગાઉ અંબાજી દર્શને આવ્યા હોય છે અને બાદમાં તેઓ સીએમ તરીકે જાહેર થયેલાના કિસ્સા ભૂતકાળમાં જોવા મળ્યાં છે. માઁ અંબાના આશીર્વાદ બાદ CMના નામ પર મહોર લાગતી હોય છે તેવુ કહેવાય છે. પૂર્વ CM  નરેન્દ્ર મોદીએ માઁ અંબાના દર્શન બાદ શપથ લીધા હતા. તો પૂર્વ CM આનંદીબેન પણ અંબાજીના દર્શન બાદ CM  બન્યા હતા. કાર્યકારી CM  વિજય રૂપાણીનું પણ અંબાજી દર્શન બાદ નામ જાહેર થયું હતું. ત્યારે સીઆર પાટીલે પણ ૪ દિવસ પહેલાં જ માઁ અંબાના દર્શન કર્યા હતા.