અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગેસના બાટલો ફાટતા આગ, પરિવારના સભ્યોનો આબાદ બચાવ

અમદાવાદઃ અમદાવાદ શહેરના મણિનગર પૂર્વમાં જૂની ખ્રિસ્તી સોસાયટી પાસે આવેલા હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે આગની ઘટના થવા પામી હતી. આગની ઘટનાની જાણ થતા પોલિસ અને ફાયર બ્રિગ્રેડના કાફલો ઘટના સ્થળે દેડી ગયો હતો. આ ઘટનામાં પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો છે.

અમદાવાદના મણિનગર પૂર્વમાં ખોખરા વિસ્તારમાં કાશીવિશ્વનાથ મહાદેવથી ચર્ચ તરફ જવાના માર્ગ પર આજે સવારે હેબ્રોન એપાટમેન્ટના ત્રીજા માળે આગની ઘટના બનવા પામી હતી. ફાયરનો કોલ મળતા ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ખોખરા પોલિસની ત્રણ ગાડીઓ સાથેનો કાફલો દોડી આવ્યો હતો.

ગેસનો બાટલો ચાલુ કરીને પાણી ગરમ કરવા જતા આગ લાગી હતી અને ગેસનો બાટલો ફાટ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ ઘટનામાં 62 વર્ષીય પરિવારના મોભી અજય પોલ વૃધ્ધ સામાન્ય દાઝી ગયા, ગેસનો બાટલો સંપૂર્ણ ફાટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં  પરિવારના ત્રણ વ્યકિતનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા નગરસેવક કમલેશ પટેલ દોડી આવ્યાં હતા અને વૃધ્ધને સારવાર માટે ૧૦૮ની મદદથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.