પાલનપુરમાં બ્રિજ તૂટી પડવાના કેસમાં GPC ઇન્ફાના ૭ ડિરેકટર અને ૪ એન્જિનીયર સામે ગુનો નોંધાયો

પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે બ્રિજ ધરાશાયી થવાને મામલે GPC ઈન્ફ્રાના ૧૧ લોકો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે. ઈડર નેશનલ હાઇવે પેટા વિભાગના નાયબ કાર્યપલ ઈજનેર મુણાલ વિઠલપરાએ GPC ઇન્ફાના ૭ ડિરેકટર અને ૪ એન્જિનીયર સામે ગુનો નોંધાયો છે.

રવિવારે પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે ઓવરબ્રિજનો સ્લેબ ધરસાઈ થતાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. GPC ઈન્ફ્રા કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. જેને લઈને બ્રિજ બનાવનાર GPC ઇન્ફા કંપની સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. જોકે ગાંધીનગરથી RNB, ક્વોલિટી કંટ્રોલ અને ડિઝાઇન સર્કલની વિવિધ ટીમોએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે આજે મામલાની ગંભીરતાને લઈને પોલીસ દ્વારા GPC ઇનફાના ૭ ડાયરેક્ટરો તેમજ ૪ એન્જીનીયરો સહિત ૭ લોકો સામે કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાઇ છે. જોકે હજુ RNB સહિત વિવિધ વિભાગોની તપાસ ચાલુ છે અને એમાં જે પણ દોષિતો સામે આવશે તેની સામે ફરિયાદ નોંધાશે.

બનાસકાંઠાના પાલનપુરમાં બ્રિજ બનાવનાર GPC ઇન્ફ્રા કંપની અગાઉ પણ રહી ચૂકી છે વિવાદમાં, ડુપ્લીકેટ બિલ રજૂ કરવા બદલ અગાઉ GPC ઇન્ફ્રા સામે વસ્ત્રાપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. છતાં આ જ કંપનીને ફરીથી બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદ મનપા અને AUDAએ GPC ઇન્ફ્રાને બ્લેકલિસ્ટ કરી હતી. GPC ઇન્ફ્રાએ અમદાવાદમાં કેટલાય રોડ બનાવ્યા હતા. ૨૦૧૭માં ‘વિકાસ ગાંડો થયો છે’ સ્લોગન જીપીસી ઇન્ફ્રાને કારણે ચગ્યું હતું. અમદાવાદમાં જીપીસી ઇન્ફ્રાએ બનાવેલ મોટા ભાગના રોડ તૂટી ગયા હતા. અમદાવાદમાં રોડ ધોવાઇ જતા ‘વિકાસ ગાંડો થયો છે’ સ્લોગન વહેતું થયું હતું. જીપીસી ઇન્ફ્રાએ અમદાવાદના રોડનું મટિરિયલ બીજી જગ્યાએ વાપરી નાખ્યું હતું, આ કારણે શહેરમાં અનેક વિસ્તારમાં રોડ તૂટી ગયા હતા.