સુરતનું શાહ દંપતી બેંકને કરોડા રૂપિયાનો ચૂનો ચોપડીને દેશ છોડીને વિદેશ ભાગી ગયું

સુરતમાં કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપતી અમેરિકા ભાગી ગયાનો આરોપ ઉઠ્‌યો છે. હાઇ- ટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને પત્ની કવિતા શાહે બેંકમાંથી ૧૦૦ કરોડની લોન લઈને ઉઠામણું કર્યું છે. દંપતી બેંકમાંથી ૧૦૦ કરોડ રૂપિયાની લોન લઈ ફરાર થયું છે. હાલ વિજય શાહ સામે મલ્ટીપલ FIR થઈ છે. ગાંધીનગર સીબીઆઇએ તપાસ શરૂ કરી છે.

સુરતના ફરિયાદીના ૨ કરોડ રૂપિયા ચાઉં કર્યાનો આરોપ કર્યો છે. સુરતની સોલાર કંપની કશ્યપ ઈન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારે ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. કશ્યપ ઇન્ફ્રા પ્રા.લિં.ના ૨ કરોડ રૂપિયા હજુ હાઇ- ટેક સ્વીટ વોટર ચૂકવ્યા નથી. શાહ દંપતી બેંકને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને દેશ છોડીને વિદેશ ભાગી ગયું છે. સુરત શહેરના અન્ય બિઝનેસમેનની સાથે છેતરપિંડી કરી તેમના રૂપિયા પચાવી વિજય શાહ અને પત્ની કવિતા શાહ ભારતે દેશ છોડીને અમેરિકા ભાગી ગયા છે. ભાગી જતાં પહેલા, કંપનીના કર્મચારીઓને ડિરેક્ટર બનાવીને સતીષ અગ્રવાલને ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જેથી તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહિ થાય.

સુરતની સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારે કહ્યું કે, હાઇ- ટેક સ્વીટ વોટરને વર્ષ ૨૦૧૮માં ૨ કરોડ રૂપિયાનો સામાન આપ્યો હતો. તે વખતે વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતિષ અગ્રવાલ ડિરેકટર હતા. કંપનીએ હજુ પણ રકમ ચૂકવી નથી. વારંવારની માંગણી છતા તેઓ ગલ્લાતલ્લાં કરતા રહે છે. વિજય શાહના ફ્રોડના અનેક પુરાવા સામે આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ બાબતે તેઓએ ૨૦૨૩માં ગાંધીનગર સીબીઆઇએમાં ફરિયાદ દાખલ કરી છે. ત્યાર પછી આ ફરિયાદને વધુ તપાસ અર્થે સુરત આર્થિક ગુના શાખા ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેને પગલે આગામી સમયમાં કૌભાંડનો પર્દાફાશ થવાની ઘડીયો ગણાઈ રહી છે.

હિરેન ભાવસારે આ કારસ્તાન વિશે PMOને પણ પત્ર લખ્યો છે. આ લોગો ઉપર મલ્ટીપલ FIR થઇ ચુકી છે. જેમાં રાજસ્થાનના અજમેર અને જયપુર શહેરમાં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપીંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુધ FIR દાખલ થઈ છે. સાથે ઓક્ટોબર ૨૦૧૭માં સુરતમાં એક જ ફ્લેટ બે વ્યક્તિઓને વેચનારના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. જેમાં પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો.

હિરેન ભાવસારે કહ્યુ કે, માહિતી આપવાનો આશય એટલો જ છે કે, લોકોને વિજય શાહના કારસ્તાન વિશે જાણકારી મળે અને બીજા ફસાતા બચી શકે. શાહ દંપતી અને અગ્રવાલ પરિવાર દ્વારા જે પ્રકારની પ્રવૃત્તિ ઉપજાવવામાં આવી છે. જેના કારણે બેંકમાં રહેલા લોકોના પૈસા પણ જોખમમાં મુકાઈ ગયા છે. અમે અમારા ન્યાય માટે લડત આપતા રહીશું. સુરત શહેરમાં આ પ્રથમ એવી ઘટના છે, જે સીબીઆઇ ગાંધીનગરથી સુરતના આર્થિક ગુના શાખા, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ મોકલવામાં આવી છે.