૧૪ સુરતના ઉદ્યોગપતિએ કર્મચારીઓને આપી સોલર એનર્જીની ભેટ

સુરતની ડાયમંડ ક્રાફિટંગ અને એક્સપોર્ટ્‌સના કામ સાથે સંકળાયેલી ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્‌સ દ્વારા દિવાળી સ્નેહમિલનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીના ૧ હજાર કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપ્યા હતા. કંપનીના કુલ ૬ હજાર કર્મચારીઓમાંથી ૧ હજાર કર્મચારીઓને તેમના પર્ફોમન્સ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રૂફટોપ સોલાર ભેટમાં આપવામાં આવ્યા છે. જેથી આગામી સમયમાં આ કર્મચારીઓના ઘરનું લાઈટ બિલ શૂન્ય આવશે અને ૨૫ વર્ષ સુધી કોઈપણ જાતનો ખર્ચ નહીં થાય તેમ જણાવવામાં આવ્યું હતું. SRK એક્સપોર્ટ્‌સના ફાઉન્ડર- ચેરમેન ગોવિંદકાકાએ જણાવ્યું હતું કે, “SRK કંપનીએ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી. કર્મચારીઓ આ સોલાર રૂફટોપ દ્વારા પર્યાવરણને પણ ખૂબ મદદરૂપ થશે. આગામી સમયમાં આ રૂફટોપ સોલાર દ્વારા કર્મચારીઓને વર્ષો સુધી વીજ બિલમાંથી મુક્તિ મળશે અને એક રીતે પર્યાવરણને પણ તેઓ લાભ કરતા સાબિત થશે.

SRK એક્સપોર્ટ્‌સના પાર્ટનર જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે. સાથે સાથે SRK કંપનીએ ભારતના વર્ષ ૨૦૩૦ સુધીમાં આ સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્ય કરતાં છ વર્ષ વહેલા એટલે કે ૨૦૨૪ સુધીમાં  તેની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ બિલ્ડીંગ માટે ઝીરો એમિશન સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે.

SRK એક્સપોર્ટ્‌સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે ૭૫૦ શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરી હતી અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને ૧૦૦ ટકા સોલાર ઉર્જાથી સજ્જ કરી રહ્યા છે. સોલાર ભારતના સપનાને સપોર્ટ કરવાની ભાવના તથા વિશ્વમાં ઈએસજી અમલ કરતી કંપનીઓમાં અગ્રણી બનવા અને આ નેતૃત્વને મજબૂત કરવા માટે ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારી કરીને આ સાહસિક શરૂઆત કરી છે. કંપનીના કર્મચારી જીતેન્દ્ર બોદરએ જણાવ્યું હતું કે, જો થોડા ઘણા રૂપિયા મળ્યા હોત કે, અન્ય વસ્તુ મળી હોત તો તે લાંબો સમય ના ટકી શકાત. પરંતુ, અમને જે આ દિવાળી બોનસ મળ્યું છે. તે લગભગ બે દાયકા સુધી ઉપયોગી સાબિત થશે અને અમારા ઘરના ખર્ચમાં એટલે કે, લાઈટ બિલનો ખર્ચ ઝીરો આવશે. જેથી આ બોનસને અમે તમામ બોનસ કરતા ઉત્તમ માનીએ છીએ. વળી પર્યાવરણને પણ અમારું આ બોનસ મદદરૂપ થશે. કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે ૧૦૦૦ કર્મચારીઓને ૧,૦૦,૦૦૦ થી વધુની નિયત રકમ ચૂકવવામાં આવશે. ત્યારબાદ કર્મચારીઓ પોતાના ઘર પર વધારાની પેનલ પણ લગાવી શકશે. જેથી તેઓને સબસિડીનો લાભ પણ વ્યક્તિગત લગાવવાના હોવાથી મળી શકશે. આ રીતે ધીમે ધીમે અન્ય કર્મચારીઓને પણ રૂફટોપ સોલાર આપવાનું કંપનીનું આયોજન હોવાનું વધુમાં જાણવા મળ્યું હતું.