વિજયા દશમીના પર્વે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન

વિજયા દશમીના પર્વની સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના બારડોલીમાં પણ આ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરા પર્વ નિમિત્તે બારડોલીમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. બારડોલીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈ-બહેનોએ પરંપરાગત રીતે શસ્ત્રોનું પૂજન કર્યું હતું.

નવરાત્રીમાં માઁ આદ્ય શક્તિની આરાધના કર્યા બાદ બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તથા બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા દશેરાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બારડોલી રાજપૂત સમાજ વાડી ખાતે ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પરણિત યુગલોએ શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. એકસાથે મોટી સંખ્યામાં એકઠા થઇને શસ્ત્ર પૂજન કરીને રાજપૂત સમાજે શ્રેષ્ઠ સંગઠનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.