દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદને લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા

દિલ્હી-NCRમાં સવારથી વરસાદ અને જોરદાર વાવાઝોડાને કારણે દિલ્હી ફાયર વિભાગને વૃક્ષો પડવાના ૧૦૦થી વધુ કોલ મળ્યા છે. જો કે હજુ સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. ત્રણ જગ્યાએથી દિવાલ ધરાશાયી થવાના કોલ આવ્યા હતા, જેમાં મોતી નગર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાથી ૩ લોકો ઘાયલ થયા હતા. ફાયર વિભાગનું કહેવું છે કે અમે સંપૂર્ણ રીતે એલર્ટ છીએ અને સતત કોલ એટેન્ડ કરી રહ્યા છીએ.રાજધાની દિલ્હી અને NCRમાં  હવામાનનો મિજાજ બદલાયો છે.

જોરદાર પવનની સાથે વરસાદ શરૂ થયો છે જેના કારણે ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈને નવું અપડેટ આપ્યું છે. જણાવવામાં આવ્યું છે કે દિવસભર હવામાનનો મિજાજ આવો જ રહી શકે છે. હાલમાં વરસાદ અને પવન ઓછો તશે પરંતુ વચ્ચે-વચ્ચે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ એ જણાવ્યું છે કે, આજનો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહ્યો છે જે આવતીકાલ સુધી સક્રિય રહેશે. આવી સ્થિતિમાં, ઘરની બહાર નીકળતા પહેલા તમારે વરસાદની સ્થિતિ જોઈને તૈયારી કરીને બહાર નિકળવું. દિલ્હી-NCRમાં સવારે ૪ વાગ્યાથી સતત વરસાદ ચાલુ છે. આકરી ગરમી વચ્ચે હવામાનનો મિજાજ એકાએક બદલાયો છે.

ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો, ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ સમયે દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ ઉભી થઈ છે.