હળવદ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ખરીફ સીઝનમાં આગોતરું વાવેતર કરનારા ખેડૂતો માટે હાલમાં નર્મદા કેનાલમાં વિશાળ જળરાશી છોડવામાં આવતાની સાથે જ ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના જીવા ગામ પાસે ખેડૂતના ખેતરમાંથી પસાર થતી નર્મદા ડી-૧૩ નંબરની કેનાલમાં ગાબડું પડતા હળવદના છેવાડાના વિસ્તારમાં આવતા ખેડૂતોની દશા અત્યંત દયનીય બની છે. વધુમાં કેનાલમાં ગાબડું પડતા વિનોદભાઈ શીવાભાઈ દલવાડી, શામજીભાઈ નાગરભાઈ દલવાડી, નરસીભાઈ શામજીભાઈ, પ્રવિણ ગોરધનભાઈ અને ઘનશ્યામભાઈ શામજીભાઈ સહિતના ખેડુતોના ખેતરમાં પાણી ફરી વળતા આ ખેડૂતોએ મહામહેનતે ઉછેરેલા આગોતરા વાવેતર ઉપર પાણી ફરી વળ્યાં હતા. તેમજ ખેડૂતોના ખેતર નદી સમાન બની ગયા છે. નોંધનીય છે કે, આ નર્મદાની ડી-૧૩ કેનાલમાંથી મોરબી બ્રાન્ચ કેનાલમાં પાણી આવતું હોય હાલમાં પડેલા ભંગાણને કારણે મોરબીના ખેડૂતો પાણીથી વંચિત રહેશે.

નર્મદા કેનાલની ડી-૧૩ નંબરની બ્રાન્ચ કેનાલનું સંચાલન હળવદથી થાય છે. પરંતુ આશ્ચર્યની બાબત તો એ છે કે, વિશાળ નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હોવા છતાં અધિકારીઓ ખેડૂતો કે અન્યોના ફોનના જવાબ આપતા ન હોય હાલમાં કરોડો ગેલન પાણી બેરોકટોક વેડફાઈ રહ્યું છે અને ખેડૂતોના મહામુલા આગોતરા વાવેતરની પથારી ફરી ગઈ છે.હળવદ તાલુકાના છેવાડાના ઢવાણા ગામ નજીક અને ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતા પાણીનો વિશાળ જથ્થો આજુબાજુના ખેડૂતોના ખેતરમાં ઘુસી જતા ખેડૂતોને વ્યાપક નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ મહામુસીબતે ઉગાડેલું આગોતરું વાવેતર કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોની આકરી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.