સુરતમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળતાં વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સુરતમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ ૨૫ જેટલા એનડીઆરએફના જવાનો સુરતમાં પહોંચી ગયા છે. વરસાદ દરમિયાન પૂર જેવી સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા માટે એનડીઆરએફની ટીમ કુશળતાપૂર્વક કામ કરે છે. સુરત શહેર અને જિલ્લાના નદીઓમાં જે પ્રકારે જળસ્તર વધી રહ્યું છે. તે જોતા વહીવટીતંત્રે આગોતરું આયોજન શરૂ કરી દીધું છે.

ખાસ કરીને સુરતના કાંઠા વિસ્તારમાં અને નવસારી જિલ્લામાં અવારનવાર પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. જેથી કોઈપણ પ્રકારની લોકોને મુશ્કેલી ન થાય અને જાનમાલને નુકસાન ન પહોંચે તેના માટે એનડીઆરએફની ટીમ સજ્જ કરી દેવામાં આવી છે.સુરત શહેરમાં મેઘ મહેર જોવા મળી હતી આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું હતું. સુરત શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત મેઘ મહેર જોવા મળી રહી છે ત્યાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબકી ગયો છે. જેના કારણે જનજીવન ઉપર તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. ત્યારે સુરતમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ૭ જુલાઇ સુધી વરસાદ વરસી શકે છે. આગાહી સાચી ઠરતી હોય તેમ સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે.

સુરતના અડાજણ, પાલ, રાંદેર, રિંગરોડ, અમરોલી સહિતના વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે ઘરેથી કામકાજ અર્થે નીકળેલા લોકોએ રે સુટ પહેરવાની ફરજ પડી હતી તો કેટલાક લોકો બ્રિજ ના નીચે જ ઉભા રહી જવાનું મુનાસીબ માન્યું હતું. મુશળધાર વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા. વિશેષ કરીને અમરોલી વિસ્તાર ની અંદર જે નીચાણ વાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. અડાજણ, ઉધના ત્રણ રસ્તા, અમરોલી સહિતના વિસ્તારની અંદર નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા તો કેટલાક સ્થળ ઉપર રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. જનજીવન ઉપર વરસાદની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે.