ઈન્દૌર આગકાંડમાં ૭ લોકોના મોતની ઘટના એક પ્રેમીનું ષડયંત્ર હતું

ઈન્દૌર શહેરના વિજય નગરમાં શનિવારની સવાર ગોઝારી બની. ઈમારતમાં આગ લાગી જેમાં સાત લોકોના જીવ ગયા. આગની આ ઘટનામાં મોડી સાંજે પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તેનાથી બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ આકસ્મિક ઘટના નહતી પરંતુ એક ષડયંત્ર હતું અને ષડયંત્રમાં સામેલ યવક આ જ બિલ્ડિંગમાં પહેલા ભાડે રહેતો હતો. ઝાંસીના માથાભારે પ્રેમીએ આ ગોઝારી ઘટનાને અંજામ આપ્યો.

પોલીસ તપાસમાં  સામે આવેલી વિગતો મુજબ આરોપી સંજય ઉર્ફે શુભમ દિક્ષિત ૬ મહિના પહેલા તે ઘરમાં ભાડે રહેતો હતો અને પૈસાના વિવાદના પગલે તેને તગેડી મૂકાયો હતો. એ પણ તારણ સામે આવ્યું છે કે ષડયંત્ર પાછળ શુભમનો એકતરફી પ્રેમ પણ કારણભૂત હતો. અત્રે જણાવવાનું કે વિજય નગર પોલીસે આરોપી શુભમ દિક્ષિતને મોડી રાતે પકડ્યો હતો. વિજય નગર પોલીસે માત્ર ૨૪ કલાકની અંદર આ સમગ્ર  કાંડનો ખુલાસો કર્યો. પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રએ શનિવારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે આરોપી યુવતી પર લગ્ન માટે દબાણ કરતો હતો પરંતુ યુવતી ના પાડતી હતી. આ વાતથી શુભમ નારાજ હતો. તે યુવતીના ઘરમાં છ મહિનાથી ભાડે રહેતો હતો. રૂપિયાને લઈને થયેલા વિવાદના પગલે પરિવારે શુભમને ઘર ખાલી કરાવી નાખ્યું.

કમિશનરે કહ્યું કે સમગ્ર અગ્નિકાંડમાં પોલીસે વિસ્તારમાં લાગેલા ૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ત્યારે આરોપી સુધી પહોંચી શકાયું. તેમના જણાવ્યાં મુજબ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ઘટના દરમિયાન એક યુવકે સ્કૂટીમાં આગ લગાવી દીધી. તપાસ બાદ આરોપીની ઓળખ થઈ અને પછી તેની ધરપકડ થઈ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શુભમ દિક્ષિતે પ્રેમિકાના સ્કૂટીમાં આગ લગાવી દીધી જે થોડીવારમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ જેને કારણે સાત લોકો જીવતા ભૂંજાઈ ગયા. જ્યારે ૯ લોકો ઘાયલ થયા.

ઈન્દૌર શહેરમાં શુક્રવારે મોડી રાતે એક એવો બનાવ બન્યો જેણે આખા શહેરને હચમચાવી દીધું. બે માળની ઈમારત આગની જ્વાળામાં લપેટાઈ અને ૭ લોકો જીવતા ભૂંજાયા. એક નજરે તો આ કોઈને પણ શોર્ટ સર્કિટ કે એ પ્રકારે જ આગ લાગ્યાનો બનાવ લાગે પરંતુ પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે જાણીને દરેક હચમચી ગયા. તપાસમાં ખુલાસો થયો છે કે આ આગ લાગી નહતી પરંતુ જાણી જોઈને લગાવવામાં આવી હતી. સમજી વિચારીને બનાવેલા ષડયંત્ર હેઠળ ઘટનાને અંજામ આપવામાં આવ્યો.