પ્રતિમા કોઈપણ રીતે રાષ્ટ્રીય પ્રતીક કાયદાની વિરુદ્ધ નથી,સિંહોના મોં ખુલ્લા રહેશેઃ સુપ્રીમ કોર્ટ

સેન્ટ્રલ વિસ્ટા એટલે કે નવા સંસદ ભવનમાં સ્થાપિત ખુલ્લા મોં વાળા સિંહોના રાષ્ટ્રીય પ્રતીક મામલે સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય આપ્યો છે અને કહ્યું હતું કે, તેમાં કંઈ ખોટું નથી. સિંહની પ્રતિમાની ડિઝાઈનને સુધારવાની માંગ કરતી અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રતિમા કોઈપણ રીતે રાષ્ટ્રીય પ્રતીક કાયદાની વિરુદ્ધ નથી. આ જ રીતે સેન્ટ્રલ વિસ્ટામાં સિંહોના મોં ખુલ્લા રહેશે. નવી સંસદની ઇમારતમાં ખુલ્લા મોં સાથે સિંહોના રાષ્ટ્રીય પ્રતીક સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટામાં કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી.

જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે અરજદારને પૂછ્યું કે, શું તમે નક્કી કરશો કે પ્રતીક કેવી રીતે બનાવવું? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે તેમને જેમ જોશો તેમ તમે તેમને જોઈ શકશો. તે જોનારની વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. અરજદારે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો ,કે તેની ડિઝાઇન સ્ટેટ એમ્બ્લેમ ઓફ ઇન્ડિયા (અયોગ્ય ઉપયોગ સામે પ્રતિબંધ) એક્ટ ૨૦૦૫નું ઉલ્લંઘન કરે છે. અરજદારોએ ખુલ્લા મોંવાળા સિંહોની પ્રતિમાને સુધારવા માટે નિર્દેશો માંગ્યા હતા. તેણે તેને સિમ્બોલ એક્ટ ૨૦૦૫નું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે તેનાથી રાષ્ટ્રીય ભાવનાને ઠેસ પહોંચી છે. તમને જણાવી દઈએ કે, આ મુદ્દે રોડથી લઈને સંસદ સુધી વિવાદ થયો હતો. વિપક્ષી દળોના સભ્યોએ પણ સરકાર પર રાષ્ટ્રીય પ્રતીકની પ્રકૃતિ બદલવાનો આરોપ લગાવ્યો હતો અને તેને બદલવાની માંગ કરી હતી.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, સારનાથમાં અશોક સ્તંભ પર સિંહોના ચરિત્ર અને સ્વભાવને સંપૂર્ણપણે બદલવો એ ભારતના રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન છે. તે જ સમયે, શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ સ્પષ્ટતા કરી હતી કે, જો સારનાથમાં રાષ્ટ્રીય પ્રતીકનું કદ વધારવામાં આવે છે અથવા નવા સંસદ ભવન પરના પ્રતીકનું કદ ઘટાડવામાં આવે છે, તો બંને વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે, સારનાથ ખાતેનું મૂળ પ્રતીક ૧.૬ મીટર ઊંચું છે જ્યારે નવા સંસદ ભવનની ટોચ પરનું પ્રતીક વિશાળ અને ૬.૫ મીટર ઊંચું છે.