મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા લોડીંગ વખતે આગ ફાટી નીકળતા જહાજ ખાક

  • જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો
  • ૬૦૦ ટન ચોખાના લોડીગ વખતે આ બનાવ બન્યો
  • આગ લાગવાના કારણ સહિતની વિગતો અંગે તપાસ શરૂ

કચ્છઃ મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા લોડીંગ વખતે આગ ફાટી નીકળતા જહાજ ખાખ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જામસલાયાનાં આદમ ભાઈ સંઘારની માલિકીનાં જહાજમાં ૬૦૦ ટન ચોખાના લોડીગ વખતે આ બનાવ બન્યો હતો. આ ઘટનાને પગલે ફાયર ફાઇટરે તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ આગ કાબૂમાં લીધી પરંતુ ચોખાનાં જથ્થા સાથે કરોડોની કિંમતનું લાકડાનું જહાજ રાખ થઈ ગયું હતું. હાલ તો આગ લાગવાના કારણ સહિતની વિગતો અંગે તપાસ શરૂ કરાઈ છે.

તાજેતરમાં મુન્દ્રાના આગ લાગવાના કિસ્સાઓ વધ્યા છે તાજેતરમાં જ કન્ટેનર યાર્ડ સહિત ૩થી વધુ સ્થળ પર આગ લાગવાના બનાવો બન્યા હતા, જેમાં ફાયર વિભાગની સુચકતાથી મોટી જાનહાની ટળી હતી ત્યારે વધુ એક આગનો બનાવ બન્યો છે. મુન્દ્રા જુના બંદર પર આ આગનો બનાવ બન્યો હતો. જેમાં ચોખા લોડીંગ માટે આવેલા જહાજ પર વિકરાળ આગ લાગી હતી. જહાજમાં ૬૦૦ ટન ચોખાનુ લોડીંગ કરવાનુ હતુ અને મોટાભાગનુ લોડીંગ થયુ ત્યારે જ આગ લાગી. જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ અદાણીના બે તથા અન્ય ખાનગી કંપની સહિત ૩ ફાયર ફાઇટર ધટના સ્થળ પર પહોચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. જો કે આગને પગલે જહાજમા મોટુ નુકશાન થયુ છે. કરોડો રૂપીયાના જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો છે.

પ્રાથમિક વિગતો મુજબ આ જહાજ આમદભાઇ સંધારનુ હોવાનુ સામે આવ્યુ છે. અને જામસલાયા રજીસ્ટર થયેલુ આ જહાજ છે. મુન્દ્રા જુના બંદરનુ સંચાલન કરતા વિભાગ તથા પોલીસ સહિતને આ આગ અંગે જાણ થતા તેઓ ધટના સ્થળે દોડી ગયા છે. જો કે ફાયર વિભાગના પ્રયત્નોથી મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે.