કચ્છનાં દરિયાકિનારે ૧૨ જૂનથી ૧૬ જૂન સુધી કલમ ૧૪૪ લાગુ

ગુજરાતમાં ધીરે ધીરે બિપરજોય વાવાઝોડાનું સંકટ વધી રહ્યુ છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. ૧૨ જૂનથી ૧૬ જૂન સુધી આ કલમ ૧૪૪ લાગુ રહેશે.

બીજી તરફ ભાવનગરમાં બીપરજોય વાવાઝોડાને લઈને ભાવનગર દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યુ છે. કોઈ પણ વ્યકિતને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ છે. ઘોઘા, કોળિયાક અલંગ સહિત ના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાવનગર કલેકટર દ્વારા ૧૧ જૂનથી ૧૫ જૂન સુધીનું દરિયા કિનારે જવા પ્રતિબંધનું જાહેરનામું બહાર પડાયું છે. હાલ પરિસ્થિતિ સામાન્ય પવનની ગતિ માં વેગ જોવા મળી રહ્યો છે.આતરફ નવસારીમાં વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તંત્ર સતત દરિયાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા નવસારીનું વહીવટી તંત્ર સજ્જ છે.બીપરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવચેત રહેવા તાકીદ કરી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે વાવાઝોડા સમયે અને ત્યારબાદ લોકોએ કઈ સાવચેતી રાખવી તેનો નાગરિકોને અનુરોધ કરાયો છે.રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના કચ્છ, જામનગર, દેવભૂમિદ્વારકા, મોરબી, સોમનાથ સહિત ૬ જિલ્લામાં વાવાઝોડાની સૌથી મોટી અસર જોવા મળશે. જેને લઇ આ તમામ જિલ્લાના અધિકારીઓ અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી.  અને સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.