ખરાબ હવામાનના કારણે ઈન્ડિગો ફ્લાઈટ અમૃતસરથી અમદાવાદ આવવાને બદલે પાકિસ્તાન પહોચી

અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ, લાહોર નજીક પાકિસ્તાનમાં લાહોર તરફ જતી રહી હતી અને લગભગ ૩૦ મિનિટ પછી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછી આવી હતી. જણાવવામાં આવ્યું કે આ દરમિયાન ફ્લાઈટ ગુજરાંવાલા સુધી ગઈ હતી. ઈન્ડિગોએ આ જાણકારી આપી છે. તેની પાછળનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવ્યું છે. ફ્લાઇટ રાત્રે ૮ વાગ્યાની આસપાસ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછી ફરી હતી.

આ માહિતી બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ પછી, તેમણે નિવેદન જાહેર કરીને સ્થિતિ સાફ કરવી પડી. ફ્લાઇટ રડાર મુજબ, ભારતીય વિમાન શનિવારે સાંજે લગભગ ૭:૩૦ વાગ્યે ૪૫૪ નોટની ઝડપે લાહોરની ઉત્તર દિશામાં પ્રવેશ્યું હતું અને રાત્રે ૮:૦૧ વાગ્યે ભારતીય ક્ષેત્રમાં પરત ફર્યું હતું. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના એક વરિષ્ઠ અધિકારી કહે છે કે, આ અસામાન્ય નથી કારણ કે ખરાબ હવામાનની સ્થિતિ “આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે”.

વાસ્તવમાં, ભારતીય વિમાન પાકિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકતા નથી. સંબંધોમાં ખટાશ આવ્યા બાદ બંને દેશના વિમાનો એકબીજાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકતા નથી. દરમિયાન, CAA દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્‌સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે ઘણી ફલાઈટ તેના નિર્ધારીત સમય કરતા મોડી ચાલી રહી હતી. CAA ના પ્રવક્તાએ લાહોર માટે હવામાનની ચેતવણી ૧૧ઃ૩૦ વાગ્યા સુધી લંબાવી છે. શનિવારે અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી ૫,૦૦૦ મીટર હતી. પાકિસ્તાનમાં શનિવારે ભયંકર તોફાન આવ્યું હતું, જેમાં વૃક્ષો પણ ઉખડી ગયા હતા અને ૨૯ લોકોના મોત થયા હતા. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના ત્રણ અડીને આવેલા જિલ્લાઓ હતા, જ્યાં પરિસ્થિતિ વધુ વણસી હતી. પાકિસ્તાનમાં મીડિયા અહેવાલો અનુસાર, લાહોર જતી ઘણી ફ્લાઈટ્‌સ નબળી દૃશ્યતાને કારણે ઈસ્લામાબાદ તરફ વાળવામાં આવી હતી. આ દરમિયાન અબુ ધાબીથી ઈસ્લામાબાદ જતી PIAની ફ્લાઈટને મુલતાન ડાયવર્ટ કરવામાં આવી હતી. જેદ્દાહ-લાહોર ફ્લાઇટને પણ મુલતાન તરફ વાળવામાં આવી હતી.