પાલનપુર બ્રીજ દુર્ઘટનાઃ સરકાર અને તંત્રની અનેક ટીમો તપાસની કાર્યવાહીમાં જોતરાઈ

પાલનપુરના આરટીઓ સર્કલ ઉપર કરોડોના ખર્ચે બની રહેલા થિ-લેગ એલીવેટેડના અંબાજી તરફ જતા ઓવરબ્રિજ ૫ર સ્લેબ ધરાસાઈ થતા દોડધામ મચી ગઈ હતી. દોઢ વર્ષથી આરટીઓ સર્કલ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. અચાનક જ બ્રિજના મોટા સ્લેબ ધરાસાઈ થતા તેની નીચે રીક્ષા અને ટ્રેક્ટર દટાયા હતા. રેલવે ફાટક પાસે અંદાજીત ૫૦ મીટર લાંબા સ્લેબ તૂટી પડ્યો હતો. તાત્કાલિક ઘટના સ્થળે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત વહીવટી તંત્રી ટીમો પહોંચી હતી અને બ્રિજના સ્લેબના મલબા નીચે દટાયેલ લોકો માટે રાહત અને બચાવ માટેની કામગીરી હાથ ધરાઈ હતી. સ્લેબ કાપીને એક રીક્ષામાંથી તેમજ અન્ય એક વ્યક્તિનો મલબા નીચેથી મૃતદેહોને બહાર કઢાયા હતા.

બ્રિજ ધરાસાઈ થવાના મામલે અમદાવાદ રેલવે મંડળના ડી. આર.એમ. તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઇ નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર ટ્રેનોની સ્પીડ ઘટાડાઈ છે. બનાસકાંઠાના પાલનપુર આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો. ધડાકાભેર સ્લેબ તૂટી પડતાં ટ્રેક્ટર અને રિક્ષા દબાઈ ગઈ હતી. જેમાં રિક્ષાચાલક સહિત ૨ લોકોના મોત નીપજ્યા. આ ઘટનાના કરૂણ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

આ અંગે ડિવિઝન રેલવે મેનેજર ડીઆરએમ સુધીરકુમાર શર્માએ જણાવ્યું કે, અમે દુર્ઘટનાને લઈને ટ્રેનોની સ્પીડ ધીમી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે ૫૮ પર રેલવે ઓવરબ્રિજના સ્લેબ ધરાસાઈ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લઈ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર તપાસ માટે મોકલ્યા હતા. ગાંધીનગરની ટીમો પાલનપુર ઘટના સ્થળે પહોંચી મોડી રાતે તપાસ હાથ ધરી હતી. જ્યાં વિવિધ ટીમો દ્વારા સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે અને તે બાદ રાજ્ય સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાશે.

ગાંધીનગર આએનબીના ક્વોલિસિટી કન્ટ્રોલ સુપરીટેન્ડન્ટ એનવી વસૈયાએ જણાવ્યું કે, આ ઘટના દુઃખદ છે અમે આ ઘટના કેવી રીતે બની તેને લઈને વિવિધ રીતે તપાસ હાથ ધરી છે. ગાંધીનગરની વિવિધ તપાસ ટિમો સાથે NHAI ઇડર ખાતેના નાયબ કાર્યાપાલ ઇજનેર એમ. ડી. વિઠ્ઠલપૂરા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમને જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ નિર્માણધીન બ્રિજના ગડરો લોન્ચ કરેલા હતા તે સાઈડમાં નમી જવાથી એક બીજા પર નીચે પડી ગયા હતા. ટેકનિકલ ટીમ અને ડિઝાઇન ટીમો દ્વારા બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી છે. NHAI ઈડરના નાયબ કાર્યપાલક એન્જિનિયર એમડી વિઠ્ઠલપુરાએ જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ ગડરો નમી જવાથી આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે અમે યોગ્ય રીતે સંપૂર્ણ તપાસ કરીશું.

પાલનપુરમાં ઓવર બ્રિજનું નિર્માણ કરતી જીપી ઈન્ફ્રાચર કંપની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઇ છે.. બે લોકોના મોત થતો પોલીસ અન્ય કલમોનો પણ ઉમેરો કરી શકે છે.. ત્યારે અત્યારે તો સમગ્ર મામલે બનાસકાંઠા તંત્ર અને રાજ્ય સરકારની અલગ-અલગ ટિમોએ તપાસ હાથ ધરી છે.