મુન્નાભાઈ એમબીબીએસઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી પાંચ નકલી તબિબ ઝડપાયા

સુરતઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબિબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં પરંતુ પાંચ પાંચ જેટલા મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી વધુના સમયથી આ બોગસ તબીબો દ્વારા લોકોનો ઈલાજ કરવામાં આવતો હતો તેમને દવા આપવામાં આવતી હતી, સાથો સાથ બાટલા ચઢાવવા સુધીની કામગીરી કરતા હતા.

ઈચ્છાપુર પોલીસે આ પાંચેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. સુરતના ઇચ્છાપુર પોલીસને છેલ્લા કેટલાય સમયે થી ફરિયાદ મળી હતી કે મોરા ગામમાં કેટલાક ઈસમો પોતાની પાસે ડિગ્રી ના હોવા છતાં લોકોનો ઈલાજ કરી રહી છે. જે બાતમીના આધારે ઇચ્છપોર પોલીસે મોરા ગામના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જ્યાં હાજર તબીબ પાસેથી ડિગ્રી અંગે પુરાવા માંગ્યા હતા જો કે તેમની પાસે કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી ન હતી. જેથી પોલીસે આવા બોગસ પાંચે તબીબોની ધરપકડ કરી હતી અને તેમને ત્યાંથી મસમોટો દવાનો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસ પુછપરછમાં તેઓએ પોતાનું નામ ગોવિંદા હલદાર, રમેશ મંડલ, ધીમન બિસ્વાસ, લક્ષ્મણ સરકાર અને કિશોર પટેલ જણાવ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન તેઓએ કબુલાત કર્યું હતું કે તેઓની પાસે તબીબ અંગે કોઈપણ પ્રકારની ડીગ્રી નથી. તેમ છતાં જ તેઓ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં તબીબ તરીકે સેવા આપતા હતા. જે પણ દર્દી આવે તેમને દવા, ઇન્જેક્શન પણ આપતા હતા. આ ઉપરાંત કેટલાક દર્દીઓને તો બાટલા સુદ્ધા ચઢાવવામાં આવતા હતા. હાલ તો સમગ્ર બનાવને લઈને ઈચ્છા પર પોલીસે આ પાંચે આરોપીઓ વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.