મહારાષ્ટ્રમાં આખી સરકાર બદલાઈ ગઈ છે ત્યારે મોદીનું જૂનું ભાષણ ચર્ચાનો વિષય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણો અને વાકચાતુર્યના કારણે હંમેશા લોકોને આકર્ષતા રહ્યા છે. તેમના ભાષણના અંશો વાયરલ થતા વાર લાગતી નથી. એક સમયે શિવસેનાના ગઢમાં નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યુ હતું, ત્યારે શિવસેના પણ હચમચી ગઈ હતી. એ ભાષણ આજે પણ સાંભળનારાના કાનમાં ગુંજે છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના જ્યારે ચર્ચામાં છે ત્યારે મોદીના આ ભાષણ વિશે જાણીએ. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. વર્ષ ૨૦૦૩ માં શિવસેનાના ગઢ સમાન શિવાજી પાર્કમાં નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આશ્ચર્યની વાત તો એ હતી કે જે સ્થળે શિવસેનાના નેતા બાળાસાહેબ ઠાકરે પ્રસંગોપાત વિશાળ મેદનીને સંબોધતા એ સ્થળે નરેન્દ્ર મોદીનો અતિભવ્ય સત્કાર થયો હતો.  ૧૨ જાન્યુઆરી, ૨૦૦૩નો એ દિવસ… નરેન્દ્ર મોદીને સાંભળવા જે ભીડ ઉમટી હતી તે અભૂતપૂર્વ હતી. ભૂતકાળમાં આનાથી મોટી જનસંખ્યા અહીં જોવા મળી ન હતી. ઘણાં માટે આ ચમત્કાર સમાન અણધારી ઘટના હતી. એ એક યાદગાર પ્રસંગ હતો. જેવું નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર લેન્ડ થવા માંડ્યુ કે વંદેમાતરમના સૂરથી વાતાવરણ ગુંજી ઉઠ્‌યું. સ્ટેજ પરના ગુલાબી કમળમાંથી એ પ્રગટ થયા અને એમાંથી બહાર નીકળતા હતા. ત્યારે સંગીતના સૂર, નગારાના અને ફટાકડાના અવાજથી આખું વાતાવરણ ભરાઈ ગયું. આતુરતાથી રાહ જોઈ રહેલી જનમેદનીને એમની ઓળખાણ આપવામાં આવી. ઓળખાણ પણ કેવી રીતે. ન્યાયદયી, સ્વયંસેવક, દ્રષ્ટિદયી પુરૂષ અને નરેન્દ્ર મોદીએ જ્યારે સભાને થોડા મરાઠી શબ્દોમાં સંબોધી ત્યારે પ્રચંડ અવાજે એમનું અભિવાદન થયું.  એમના ભાષણનો સૂર જાણીતો હતો. એમણે મજાકમાં કોંગ્રેસના નેતાઓનો અને ઈટલીની બેટીનો ઉલ્લેખ કર્યો, જે લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. એમણે ‘મિયાં’ મુશરફને માનવતાના દુશ્મન તરીકે દોષિત ઠેરવ્યા. પણ નરેન્દ્ર મોદીના એ સમયના ભાષણમાં હિન્દુત્વનો મુદ્દો સૌથી ચર્ચાસ્પદ રહ્યો. તેમણે કહ્યું હતું કે વિશ્વની બધી સંસ્કૃતિઓ સમયની ગર્તામાં ધકેલાઈ ગઈ, પરંતુ ૧૦,૦૦૦ વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ જીવે છે હિન્દુત્વના કારણે. ભૂતકાળમાં ગુજરાતના કોઈપણ મુખ્યમંત્રીએ શિવાજીપાર્કમાં સભા સંબોધી નહોતી કે નતો આટલું સ્વંયસ્ફુરિત અભિવાદન મેળવ્યું હતું.