આવતા વર્ષે જલ્દી પધારવા આમંત્રણ પાઠવી જેતપુરના જયંતિભાઈ રામોલીયા પરિવારે વિધ્નહર્તા દેવ ગણેશજીને આપી શ્રદ્ધાપૂર્વક વિદાય

જેતપુરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે વિઘ્નહર્તા દેવ ગણેશજીને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી. ત્યારે જેતપુર શહેરમાં અનેક વિસ્તારમાં ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. જેમાં દેસાઈ વાડી વિસ્તારમાં રહેતા જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગકાર જયંતિભાઈ રામોલિયાના ઘરે પણ ગણેશની સ્થાપના કરી દસ દિવસ સુધી પૂર્જા-અર્ચના કરી સર્વેના કલ્યાણની કામના કરવામાં આવી હતી.

આજે સૌના પ્રિય દેવ ગણેશની વિદાય આપતા રામોલિયા પરિવારે ભાવપૂર્ણ રીતે આવતા વર્ષે જલ્દી પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ પાઠવી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. ગણેશ વિસર્જન સમયે રામોલિયા પરિવાર સાથે આસપાસના વિસ્તારના લોકો પણ જોડાયા હતા. વાજતે-ગાજતે રાસડા લઇને ગણેશજીની પૂર્જા અર્ચના કરી ભારે હ્રદયે વિદાય આપવામાં આવી હતી. આ સમયે અબીલ-ગુલાલના રંગો વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયેલું જોવા મળ્યું હતુ.