તુર્કીના ભૂકંપથી પ્રભાવિત થઇ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પણ કચ્છમાં આવું સહન કર્યુ છે”

કોરોના મહામારીનો કપરો કાળ જોયા બાદ ફરી સમગ્ર વિશ્વ ભૂકંપના ભારે ઝટકા સહન કરી રહ્યું છે. દિલ્હી સહિત એશિયાઈ દેશો બાદ હવે ખાડી દેશોમાં ધરતીકંપ કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં તુર્કી અને આસપાસના દેશોમાં ભૂકંપના ચાર મોટા ઝટકા આવ્યા છે. આ કુદરતી આફતમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો હજી લાપતા છે. તુર્કી અને સીરિયામાં સોમવારે સવારે ૭.૮ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો.

બીજી બાજુ મંગળવારે ફરી એકવાર તુર્કીની ધરા ધ્રૂજી હતી. આ કંપારી એટલી ભયજનક હતી કે, છેલ્લી સદીની સૌથી મોટી દુર્ઘટના બની ગઈ છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૪૩૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર દુનિયા આ આફતને જોઈને લાચાર બની છે અને કાટમાળ હેઠળ દબાયેલા અનેક લોકોના શબ –ઈજગ્રસ્ત થયેલા લોકોને જોઈ સૌકોઈના હૃદય કંપી ઉઠ્‌યાં છે. આ ઘટનાને જોઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કુદરતના વિનાશ વિશે વાત કરતા ભાવુક થઈ ગયા હતા.પીએમ મોદીએ બીજેપી સંસદીય દળની બોર્ડ બેઠકમાં તુર્કીની આ ગોઝારી ઘટના અંગે વાત કરતા શોક વ્યક્ત કર્યો હતો.

તુર્કીની દયનીય સ્થિતિ વિશે વાત કરતાં મોદી ભાવુક થઈ ગયા હતા. આ બેઠકમાં તેમણે ગુજરાતના કચ્છમાં ૨૦૦૧માં આવેલા ભૂકંપને યાદ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું, અમે પણ આવી ભયાનકતાનો સામનો કર્યો છે. આ સાથે તેમણે ભારત તરફથી તુર્કીને શક્ય તમામ મદદ આપવાની વાત કરી છે. આ પહેલા સોમવારે પણ તેમણે તુર્કીમાં આવેલા ભૂકંપ પર સંવેદના વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે તુર્કીમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી તેઓ ખૂબ જ દુખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, તેમજ ઘાયલો માટે ઝડપથી સ્વસ્થ થવાની કામના. આ સાથે તેમણે તુર્કીને શક્ય તમામ મદદ કરવાની પણ જાહેરાત કરી હતી.

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના નિવેદનને રિટ્‌વીટ કરતા તેમણે લખ્યું, ‘તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાનિ અને જાનમાલના નુકસાનથી હૃદય દુઃખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય. ભારત તુર્કીના લોકો સાથે આ કપરી સ્થિતિમાં દ્રઢતા સાથે એક થઈને ઉભા છે અને આ દુર્ઘટનાને પહોંચી વળવા માટે તમામ શક્ય મદદ કરવા અમે તૈયાર છીએ. આ સિવાય પીએમ મોદીએ સીરિયામાં વેરાયેલા વિનાશને જોઈને ટ્‌વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘વિનાશક ભૂકંપની અસર સીરિયામાં પણ થઈ છે,તે જાણીને ખૂબ જ દુઃખ થયું. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના. અમે સીરિયાના લોકો સાથે તેમના દુઃખમાં સહભાગી છીએ અને આ મુશ્કેલ સમયમાં તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.