વરસાદી પાણી ભરાઇ રહેતા ખેડુતોના પાકને ભારે નુકશાન

વલભીપુરના જુના રામપુર ગામ તરફ જવાને રસ્તે અમરેલી-અમદાવાદ હાઇવેની પશ્વિમ દિશા તરફ આવેલ ખેતરોમાંથી વરસાદના પાણીનો નિહાર બંધ થતાં અનેક ખેડુતોનો પાક પાયમાલ થઇ ગયો છે.

વલભીપુરથી પાંચ કિ.મી.દુર આવેલ પેટ્રોલ પંપની આથમણી દિશામાં આવેલ રામપર ગામની સીમના ખેડુતોની આશરે ૨૦૦ વીઘા જમીનમાં વરસાદના પાણી ભરાઇ રહેતા ખાસ કરીને કપાસનો પાક બળી જવા પામેલ છે અને આ સમસ્યા દરેક ચોમાસે ભારે વરસાદ થાય ત્યારે સર્જાય છે અને આ સમસ્યા સર્જાવાનું કારણ હાઇવેની બન્ને તરફ ગટર કરવામાં આવેલ જેના માધ્યમથી વલભીપુર દરેડીયા નદીમાં ભળી જતું તેથી ખેતરોમાં પાણી ભરાઇ રહેતા ન હતાં પરંતુ પેટ્રોલ પંપને કારણે ગટરનું પાણી બંધ કરેલ છે તેના કારણે આ ખેડુતોની કફોડી હાલત થઇ જવા પામી છે.

તાલુકાના જવાબદાર અધિકારીઓને અવાર નવાર રજુઆતો કરવામાં આવી છે તેઓ સ્થળ પર આવીને ખેતરોમાં ભરાયેલ પાણીનું નિરીક્ષણ કરીને જતાં રહે છે કોઇ પરીણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી. આ આશરે ૨૫ કરતા વધુની સંખ્યામાં ખેડુતો તેનો મોઘી જમીન સાથે પાક પણ બળી જતો હોય જેથી તંત્ર દ્વારા વળતર ચુકવાય તેવી તજવીર હાથ ધરવી જોઇએ તેવી ગામના અગ્રણી દિલીપસીંહ ગોહિલ દ્વારા માંગ કરવામાં આવી છે. આ સમસ્યાનું નિરાકરણ તો શકય બને તેમ છે જો પેટ્રોલ પંપ દ્વારા જે જગ્યા ઉપર દબાણ કરી પાણીનો નિહાર અટકાવેલ છે તે દબાણવાળી જગ્યા પર સીમેન્ટના મોટા ભુંગળાઓ નાખવામાં આવે તો પાણીનો પ્રવાહ જલ્દીથી પસાર થઇને દરેડીયા નદીમાં ભળી જાય તેથી ખેડુતો આર્થિક પાયમાલીમાંથી બચી જાય. જયારથી આ પેટ્રોલ પંપ પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા કરેલ ન હોય ત્યારથી જયારે જયારે ભારે વરસાદ પડે છે ત્યારે અમારા ખેતરોમાં પ્રવેશી ન શકાય તે હદે પાણી ભરેલા રહે છેઅમારો ખેતીનો ખર્ચ પણ માથે પડે છે.

અધિકારીઓને ચાર પાંચ વર્ષથી આ સમસ્યા અંગે લેખીત તેમજ મોખિક રજુઆતો કરતા આવ્યા છીએ છતા કોઇ ધ્યાને લેતુ નથી અને દરેક ચોમાસે અમે ખરીફ પાક લઇ શકતા નથી.હવે કાંઇક તંત્ર કરે તો સારૂ.