મહાશ્રમદાન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ આપતા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

અમદાવાદઃ ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓકટોબર, ૨૦૨૩નાં દિવસે જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને ‘એક તારીખ, એક કલાક’નાં સૂત્ર સાથે ઠેરઠેર મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાણીપ ખાતે ‘એક તારીખ, એક કલાક’નાં સ્વચ્છતા અભિયાન સાથે યોજાયેલી મહાશ્રમદાન પ્રવૃત્તિમાં સહભાગી થયા હતા.

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૩’ની થીમ ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ અંતર્ગત રાણીપ AMTS બસ સ્ટોપ અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિતભાઈ શાહ સ્થાનિકો અને સફાઈ કામદારો સાથે આ શ્રમદાન પ્રવૃત્તિમાં સહભાગી થયા હતા. આ મહાશ્રમદાન અંતર્ગત સમગ્ર વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. અમિતભાઈ શાહે રાણીપ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય સર્વ જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ,  અલ્પેશભાઈ ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશભાઈ બારોટ, રાણીપ વોર્ડના કોર્પોરેટર સર્વ દશરથભાઈ પટેલ, વિરલભાઈ વ્યાસ, ભાવીબહેન પંચાલ, ગીતાબહેન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ સેવા યજ્ઞમાં જોડાયા હતા.