ખડોલી ગામે આવેલ ઈન્ગોટ બનાવતી કંપનીમા બ્લાસ્ટ થતા ૧૨ કર્મચારીઓ ઘાયલ

વલસાડઃ ખડોલી ગામે આવેલ ઈન્ગોટ બનાવતી કંપનીમા બ્લાસ્ટ થતા ૧૨ કર્મચારીઓ ઘાયલ થતા ખાનવેલ સબ જીલ્લા હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ખડોલી ગામે આવેલ ચતુર્ભુજ એલોય પ્રાઇવેટ લીમીટેડ કંપની જેમા સ્ટીલના ઈન્ગોટ બનાવવામા આવે છે, જેની ભઠ્ઠીમા અચાનક બ્લાસ્ટ થતા નજીકમા કામ કરતા ૧૨ કર્મચારીઓ દાઝી ગયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે સબજીલ્લા હોસ્પીટલ ખાનવેલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે.

ઘાયલ થયેલામા દિલીપ પાસવાન, કમલેશભાઈ, સોનુભાઈ અને જીતુભાઇને ગંભીર ઇજાને કારણે ખાનવેલ હોસ્પિટલથી વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે આઈસીયુમા દાખલ કરવામા આવ્યા છે અને આઠ વ્યક્તિ જેઓને સામાન્ય ઇજા થયેલ તેઓને ખાનવેલ સબ જીલ્લા હોસ્પીટલમા જ સારવાર આપવામા આવી રહી છે. આ કંપની અગાઉ સિદ્ધિવિનાયક એલોય કંપનીના નામે ચાલતી હતી એની અંદર જ હાલમા ચતુર્ભુજ એલોયના નામે ચાલે છે. આ જ કંપનીમા અગાઉ બે વખત ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયેલ ત્યારે પણ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને વાપીની પ્રાઇવેટ હોસ્પીટલમા સારવાર અર્થે લઇ જવામા આવ્યા હતા.

આ ઘટના અંગેની ફરિયાદ નોધી વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશમા આવી ઈન્ગોટ બનાવતી ઘણી કંપનીઓ આવેલી છે, જ્યા આવી કોઈ ઘટના બને તો પ્રશાસન અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે વાપીની પ્રાઇવેટ હોસ્પીટલમા જ સારવાર અર્થે લઇ જવામા આવે છે. આવી ઘટનાઓમા પ્રશાસન દ્વારા પણ સખ્ત કાર્યવાહી કરવામા આવે એ જરૂરી છે.