વડાપ્રધાન મોદીના આહ્વાન પર દેશભરમાં નેતાઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતે કરી સ્વચ્છતા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર રવિવારે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ શરૂ થયો છે. દેશભરમાં અલગ-અલગ જગ્યાએ નેતાઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ, અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા દેશના અન્ય વિસ્તારના મંત્રીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો. ગુજરાતમાં પણ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ‘શ્રમદાન ફોર સ્વચ્છતા’ના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ૧ ઓકટોબર, ૨૦૨૩ના રોજ દેશભરમાં ‘એક તારીખ, એક કલાક’ હેઠળ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મહાશ્રમદાનના કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમમાં દેશથી લઈને રાજ્ય સુધીના નેતાઓ તથા અન્ય લોકો પણ જોડાયા હતા. ૨ ઓક્ટોબરે મોહનદાસ ગાંધીની જયંતી નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાણીપમાં હાથમાં ઝાડુ લઈને સ્થળ પર રહેલા કચરાને સાફ કર્યો હતો.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ અમદાવાદમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. હર્ષ સંઘવીએ સિંધી સમાજના આરાધ્ય ભગવાન ઝુલેલાલ મંદિરે પહોંચી દર્શન કર્યા હતા અને ત્યારબાદ સરદારનગર વિસ્તારમાં આવેલા ઝુલેલાલ સર્કલ પાસે હાથમાં ઝાડુ લઈને સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાં તેમની સાથે ભાજપના ઘણા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. સુરત શહેરના નાનપુર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર પાટીલે ભાગ લીધો હતો. તેમણે હાથમાં ઝાડુ લઈને સફાઈ અભિયાન હાથ ધાર્યું હતું. આ કાર્યક્રમમાં સુરત શહેરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને શહેર મહામંત્રી કિશોર બિંદલ હાજર રહ્યા હતા.

ધ્રોલ તાલુકાના લતીપર ગામે સ્વચ્છતા અભિયાન કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ સ્થળની સફાઇ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા માટે સૌ લોકોને આહ્વાન કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોહનદાસ ગાંધીની જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ ઉપરાંત, દેશમાં અનેક ઠેકાણે આ વિશેષ ડ્રાઇવમાં નાગરિકો, નેતાઓ સહભાગી થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નૈમિષારણ્ય ધામ ખાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ પ્રસારિત થયેલા મન કી બાતના ૧૦૫મા એપિસોડમાં પીએમ મોદીએ દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા માટેની અપીલ કરી હતી. સ્વચ્છતા માટે સૌને સાથે આવવા માટેનું આહવાન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, સૌ દેશવાસીઓ ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યે એક કલાક માટે શ્રમદાન કરે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી એમકે ગાંધીને તેમની જયંતીની પૂર્વસંધ્યાએ શ્રેષ્ઠ રીતે ‘સ્વચ્છાંજલિ’ આપી શકાશે.