માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર ભારતમાં કોરોનાથી શૂન્ય મોત

દેશમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલીવાર કોરોનાથી એક પણ મોત નથી થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૨૫ દર્દી નોંધાયા. આ સંખ્યા પણ નવમી એપ્રિલ, ૨૦૨૦ પછી સૌથી ઓછી છે. આ ઉપરાંત દેશમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧૪ હજાર થઇ ગઇ છે. આ સંખ્યા ૨૦૨૨ની તુલનામાં થોડી વધુ છે, પરંતુ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે, આગામી બે-ત્રણ સપ્તાહમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ પાંચ હજારથી ઓછી થઇ જશે.

ત્યારે આપણે સંપૂર્ણ આશ્વસ્ત થઇ શકીશું કે, દેશ હવે કોરોનામુક્ત થવાની અત્યંત નજીક છે. ભારતમાં કોરોનાથી પ્રતિ દિન થતાં મૃત્યુ હવે ફક્ત ૦.૨૪% જ રહી ગયા છે. એટલે કે, ૪૦૦ નવા દર્દીમાંથી ફક્ત એક દર્દીનું મોત થઈ રહ્યું છે. સારી વાત એ છે કે, દુનિયાના તમામ દેશોમાં મૃત્યુદર ૦.૫% નીચે આવી ગયો છે. દુનિયામાં કુલ ૬૩.૩ કરોડો લોકો કોરોના સંક્રમિત થયા, જેમાં ૯.૮ કરોડ એકલા અમેરિકામાં સંક્રમિત થયા. દુનિયામાં કોરોનાથી કુલ ૬૬ લાખ મોત થયા, જેમાં ૧૦.૭ લાખ મૃત્યુ એકલા અમેરિકામાં થયા. રાજ્યમાં મંગળવારે ૨૨ નવા કેસ નોંધાયા હતા. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૯૬ છે જેમાંથી માત્ર એક દર્દી વેન્ટિલેટર પર છે.રાજયના ૧૩ જિલ્લાઓમાં એક્ટિવ કેસ શૂન્ય છે. જ્યોર ૧૫ જિલ્લાઓમાં એક્ટિવ કેસ પાંચથી પણ ઓછા છે.

સુરત જિલ્લામાં સૌથી વધારે ૧૦૦ એક્ટિવ કેસ જ્યારે અમદાવાદમાં ૯૭ કેસ છે. વડોદરામાં ૭૬, ગાંધીનગરમાં ૪૫ કેસ છે. ગત મહિનાની ૮મીએ એક્ટિવ કેસ ૭૦૬ હતા. મોટાભાગના કેસ આ ચાર જિલ્લાઓમાં છે. ગત ૫મી નવેમ્બરે અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે એક મૃત્યુ થયું હતું. એ પહેલાં અમદાવાદમાં જ ૧૭મી ઓક્ટોબરે કોરોનાએ એકનો ભોગ લીધો હતો.