નડિયાદમાં સફાઈના અભાવે નગરજનો પરેશાન રોગચાળાની ભીતિ

નડિયાદમાં આવેલી કાર્મેલ સોસાયટી વિસ્તારમાં આશરે ત્રણ હજાર જેટલા લોકો રહે છે. અહીંયા પાણીનો કાંસ આવેલો છે અને તેની આસપાસ ગંદકી રહે છે. સાથે સાથે સમગ્ર વોર્ડમાં ગંદકી રહેતા આ વિસ્તારના લોકો કફોડી સ્થિતિમાં મૂકાયાં છે. ગંદકીના કારણે રોગચાળાની ભીતિ પણ ઊભી થઈ છે. વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ વિસ્તારના રહેવાસીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણીને કારણે ભૂગર્ભ જળ પણ દુષિત બન્યા છે.

વોર્ડ નંબર એક આજે ગંદકી અને બીમારીથી ઘેરાઈ ગયો છે. ઉપરાંત તેમણે અહીંયા નેતાઓએ ક્યારેય મુલાકાત લીધી ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા. અહીયા તંત્ર જાણી જોઈને ખુલ્લા કાંસ ઉપર સ્લેબ ભરાવતું નથી. આખા ગામનું દુષિત પાણી અહીંથી પસાર થાય છે. અહીં ઠેર ઠેર બીમારીનું જોખમ રહ્યું છે. તંત્ર દ્વારા અહીયા સ્વચ્છતા અંગે કામગીરી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

નડિયાદમાં સફાઈના અભાવે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રસ્તાઓ તો ચોખ્ખા જોવા મળે છે પણ અમુક વોર્ડમાં પારવાર ગંદકી રહેતા સ્થાનિકોને તંત્ર સામે રોષ છે. નગરનો વોર્ડ નં. ૧ ગંદકીથી ખદબદતો હોવાથી અહીંયા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.