વડાપ્રધાને ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના આપેલા વિચારને જનઆંદોલન બનાવીને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન
વિશ્વ પર્યાવરણ દિવસ-2025
કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણપ્રિય વિકાસની વિભાવના આપી છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વિશ્વ પર્યાવરણ દિન – ૨૦૨૫ની રાજ્ય સ્તરની ઉજવણી આજે ૫મી જૂન, ગુરુવારે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ વર્ષની વૈશ્વિક થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” નક્કી કરવામાં આવી છે, જેને કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહી છે.
વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વન-પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પર્યાવરણ સંબંધિત કુલ 11 જેટલા વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના આપેલા વિચારને જનઆંદોલન બનાવીને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસને માત્ર એક ઇવેન્ટ નહિ, પરંતુ સૌ માટે “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” કરવાના સંકલ્પનો દિવસ ગણાવી વડાપ્રધાનના દિશાદર્શનમાં સમગ્ર દેશમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા ‘વન નેશન, વન મિશન – પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ કેમ્પેઈનનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહિ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણના જતનથી સસ્ટેનેબલ વિકાસની વિભાવના આપી છે. આ સાથે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘છોડમાં રણછોડ’ અને ‘પૌધામાં પરમાત્મા’ જોવાની આપણી સંસ્કૃતિમાં પર્યાવરણ જતનની ભાવના આદિકાળથી રહેલી છે. આ સંદર્ભમાં, અમદાવાદમાં સિંદૂરવન અને ગાંધીનગરમાં સચિવાલય પ્રાંગણમાં 4 હજાર રોપાઓના વાવેતર સાથે માતૃવન નિર્માણથી ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાનનો પ્રારંભ કર્યો છે તેની તેમણે પણ વિગતો આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડગલેને પગલે પ્લાસ્ટિકનો ઉપયોગ સહજ થવાથી વધી રહેલા પર્યવરણીય જોખમ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, પ્લાસ્ટિક માનવજાતની પ્રભાવશાળી શોધમાંની એક છે અને આપણી જીવનશૈલીનો ભાગ બની ગયું છે. પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે અને આવનારી પેઢી માટે મોટી સમસ્યા બની શકે છે.
આવનારી પેઢીને પ્લાસ્ટિકયુક્ત રાખવી છે કે પ્લાસ્ટિક મુક્ત રાખવી છે એ વિચારવાનો સમય હવે આવી ગયો છે. એક સમજદાર નાગરિક અને સુસંસ્કૃત સમાજ તરીકે આપણે પ્લાસ્ટિકના બિનજરૂરી ઉપયોગથી પર્યાવરણને અને આવનારા ભવિષ્યમાં થનારા ભયાનક જોખમને સમજવાની જરૂર છે તેમ પણ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ-2025થી શરૂ કરાવેલા ‘ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ’ અંતર્ગત રાજ્યના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, દાહોદ એમ સાત જિલ્લાના 19,225 હેક્ટર વિસ્તારમાં વૃક્ષો-રોપાઓ વાવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે તેમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસથી વડાપ્રધાને રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર એમ ચાર ‘આર’ થી પર્યાવરણ રક્ષાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે કે તેમણે દેશ અને દુનિયાને પર્યાવરણ રક્ષા અને કુદરતી સ્ત્રોતના સંવર્ધનનો હંમેશા આગવો માર્ગ ચીંધ્યો છે. ‘વન સન, વન અર્થ’થી રિન્યુએબલ એનર્જી, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ‘નેટ ઝીરો’, પર્યાવરણ પ્રિય વિકાસ માટે ‘ગ્રીન ગ્રોથ’ અને ધરતી માતાને હરિયાળી રાખવા માટે ‘એક પેડ માં કે નામ’ જેવા દિશાદર્શક સફળ પ્રયોગો વડાપ્રધાને દેશને આપ્યા છે.
વરસાદી પાણીને જમીનમાં ઉતારીને જળ સંચય માટે ‘કેચ ધ રેન’ અને ‘મિશન લાઈફ’ દ્વારા આપણા રોજબરોજના જીવનમાં પર્યાવરણ પ્રકૃતિના રક્ષણનો વિચાર પણ વડાપ્રધાને આપ્યો છે એમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વિવિધ સ્થળોએ ક્લોથ બેગ વેન્ડીંગ મશીન અને પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂક્યા છે તેના ઉલ્લેખ સાથે લોકોને કાપડની થેલી વાપરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાપડની થેલીનો ઉપયોગ, પાણી માટે સ્ટીલની બોટલ રાખવી જેવા નાના નાના પ્રયાસો અને આદતો કેળવીને આપણે પોતે જ પરિવર્તનની શરૂઆત કરવી જોઈએ.
મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને સમગ્ર ગુજરાત વતી અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરથી વડાપ્રધાને વિશ્વ સમક્ષ ‘ઝીરો ટોલરન્સ અગેઈન્સ્ટ ટેરેરિઝમ’ની નીતિ સ્પષ્ટ કરી દીધી છે અને હવે આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસે ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના સંકલ્પથી ભારતને પ્લાસ્ટિક પ્રદૂષણમુક્ત બનાવવાની મુહિમ ઉપાડી છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી આપણાં પ્રકૃતિ પ્રત્યેનો સમર્પણભાવ દર્શાવે છે: વન-પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા
વન-પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરાએ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આજનો દિવસ સંકલ્પનો – સંરક્ષણનો અને સંવેદનાનો છે. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’-2025ની થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” નક્કી કરવામાં આવી છે. વેદકાળથી આપણે પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છીએ. આપણા વેદોમાં પાણીના સંરક્ષણ અંગેના મંત્રો છે. આપણે તો ‘છોડમાં રણછોડ’ના દર્શન કરીએ છીએ. શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “વૃક્ષોમાં હું પીપળો છું, પ્રાણીઓમાં હું સિંહ છું”. આજે પણ આપણી માતાઓ- બહેનો વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરે છે. ભારતમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે અતૂટ નાતો છે. આપણી પ્રકૃતિમય સંસ્કૃતિ એ આપણી આગવી વિશેષતા છે.
મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, આજના દિવસની ઉજવણી આપણાં પ્રકૃતિ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. આ દિવસ આપણા વિચારોમાં પરિવર્તન લાવવાનો અને આપણી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનો સુવર્ણ અવસર છે. વડાપ્રધાન શ્રી મોદીની પ્રેરણાથી આપણે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છીએ. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ “મિશન લાઇફ”, “મિષ્ટી યોજના” તથા “એક પેડ માં કે નામ” જેવા વિવિધ આયામો થકી જન-જનને પર્યાવરણના જતન માટે જાગૃત કરવામાં આપણે સફળ રહ્યા છીએ.
મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, ભૌતિક સુવિધાઓ આજે પર્યાવરણ માટે જોખમ બની ગઈ છે. એમાંથી સૌથી વધુ નુકસાનકારક છે – સિંગલ યુઝ પ્લાસ્ટિક. આ પ્લાસ્ટિક, જ્યારે જમીનમાં જાય, ત્યારે જમીનને બીન ઉપજાવ બનાવી દે છે, જ્યારે પાણીમાં જાય, ત્યારે નદીઓ અને દરિયાની જીવસૃષ્ટિને મારી નાખે છે, અને જ્યારે કચરામાં સરી જાય, ત્યારે માઇક્રો પ્લાસ્ટિકના રૂપે ફરી આપણાં ખોરાક સુધી પહોંચી જાય છે. આવા પ્લાસ્ટિક પ્રદૂષણના નિવારણ માટે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે.
જેમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત વન વિસ્તારો, ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો તેમજ શાળા સ્તરે જાગૃતિ કાર્યક્રમો, પ્લાસ્ટિકના વિકલ્પો વિશે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના અનુસંધાને મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, પ્લાસ્ટિક મેનેજમેન્ટ તરફ આપણે અનેક નક્કર પહેલ કરી છે. GPCB ના નેતૃત્વ હેઠળ 646 પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ, 7 વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અને ૫ કો-પ્રોસેસિંગ સિમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. રિવર્સ વેન્ડિંગ મશીનો, કાપડની થેલી માટેના એટીએમ, પર્યાવરણને અનુકૂળ પ્રસાદ બોક્સ જેવા નવીનતમ પગલાંઓ પર્યાવરણ સંરક્ષણ તરફ પરિવર્તન લાવવામાં મદદ કરશે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અપનાવવામાં ગુજરાત હરહંમેશ અગ્રેસર: વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ
‘વિશ્વ પર્યાવરણ દિવસે’ સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ માં કે નામ’ અને માતૃત્વ વનમાં વૃક્ષારોપણ કરી આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી છે. ગત વર્ષે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત 17.50 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે.
વધુમાં મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, પ્લાસ્ટિકથી આજે નાગરિક પ્રભાવિત છે. ખોરાકમાં પણ હવે પ્લાસ્ટિકના અંશો જોવા મળે છે. ગત 22 મે થી રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમ હેઠળ 1.5 લાખથી વધુ નાગરિકોએ 2500થી વધુ કાર્યક્રમના આયોજન થકી બીચ ક્લિનિંગ, ગાર્ડન ક્લિનિંગ જેવા કાર્યક્રમો દ્વારા 6 લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી નિકાલ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્લાસ્ટિકના રિસાયકલ અને રિયુઝને લગતા વિવિધ ઇનોવેશન-સ્ટાર્ટપ્સના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈને ઇનોવેટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. ‘ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની બેસ્ટ પ્રેક્ટિસીસ’, ‘એક પેડ માં કે નામ’ અને વિશ્વ પર્યાવરણ દિવસની પ્રિ-કેમ્પેન વિષય પર દસ્તાવેજી ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી હતી.
સુરત ખાતે અફલ્યૂઍન્ટ ટ્રેડિંગ માટે CETP અને તેની સભ્ય યુનિટ્સ વચ્ચે વ્યૂહાત્મક સમજૂતી કરાર-MOU મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ 11 જેટલા વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, GPCBના ચેરમેન આર. બી. બારડ, વન-પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવકુમાર, સચિવ આર. સી. મીના, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટિવ કમિશનર રેમ્યા મોહન, હેડ ઓફ ધ ફોરેસ્ટ ડૉ. એ.પી.સિંઘ, સીપીસીબી વડોદરાના પ્રાદેશિક નિયામક અરવિંદ કુમાર ઝા, વાઇલ્ડ લાઈફ PCCF જયપાલ સિંઘ સહિત વન વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારી-કર્મચારીઓ તથા પર્યાવરણ સાથે જોડાયેલી વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.