અંકલેશ્વર: માંડવા વિસ્તારમાં આવેલી ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ, પ્લાન્ટમાં મોટા નુક્શાનનું અનુમાન

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના ઔધોગિક એકમ ધરાવતા અંકલેશ્વર પંથકમાં આવેલ ઉધોગોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે, તેવામાં આજરોજ સવારે વધુ એક ઘટના સામે આવતા ભારે દોડધામ મચી હતી, અંકલેશ્વર માંડવા પાસેના વિસ્તારમાં આવેલ અલ્કેમ કેમિકલ નામક ખાનગી કંપનીમાં કોઇ કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી.

અંકલેશ્વર માંડવા વિસ્તારમાં હાઇવેને અડીને આવેલ ખાનગી કંપનીમાં લાગેલ આગના ધુમાડાના ગોટેગોટા દૂર દુર સુધી જોવા મળતા આસપાસના લોકોમાં પણ એક સમયે ગભરાટનો માહોલ છવાયો હતો. ઘટનાના પગલે કંપની આસપાસ ઉપસ્થિત કર્મચારીઓ સહિતના લોકો સલામત સ્થળે ખસી ગયા હતા.

કંપનીમાં લાગેલ આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ તાત્કાલિક લાયબંબા લઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા, હાલ કંપનીમાં આગ કયા કારણસર લાગી છે તે અંગેની તપાસ કંપની શરૂ કરાઇ છે, જોકે આગના પગલે કંપની પ્લાન્ટમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.