અંબાલાલની આગાહીઃ ઓક્ટોબરમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા

ગાંધીનગરઃ વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રાવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે.

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ ૩૦ સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુનું પ્રેસર બનશે. જે મજબૂત બનતા ૨ જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. ૧૨ ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે.

ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,  આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા છે, જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાશે. બંગાળનું ચક્રવાત પ્રતિ કલાક ૧૫૦ કિમીની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે.

આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જયારે અરબ સાગરમાં ૨૧ સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે ૪થી ૧૨ ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે ૨૭-૨૮-૨૯ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. ૧૨થી ૨૦ ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમા ઉભુ થશે.