શહેરોના વિકાસની સાથેસાથે આપણા દેશમાં વધી રહેલા પ્રદુષણનું પ્રમાણ ખુબજ ચિંતાજનક

ભારતમાં તેજીથી વધી રહેલા પ્રદૂષણ અંગેના જે અહેવાલો આવી રહ્યાં છે એનાથી સ્પષ્ટ છે કે જો આપણે સમયસર ન ચેત્યાં તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ભયાવહ બનશે. દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષણ ચરમસીમાએ પહોંચી ગયું છે જેના કારણે જન જીવન પર વ્યાપક અસર પહોંચી છે.

પ્રદૂષણને લઇને જુદી જુદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં આ ક્ષેત્રમાં થતી સુધારણાની ગતિ સાવ ધીમી છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાના ૩૦ સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ૧૦થી વધારે શહેરો આપણા ભારતના છે. આ બધુ જોતાં એવું પણ લાગી રહ્યું છે કે, પ્રદુષણ ફેલાવતા એકમોમાં ઓનલાઈન દેખરેખ વ્યવસ્થા સ્થાપવામાં જીપીસીબી નિષ્ફળ ગયુ છે. એવું જણાય છે કે દેશના લોકો બીજી સમસ્યાઓમાં એટલા ડૂબી ગયા છે કે તેમને પ્રદૂષણ દ્વારા પેદા થતા જોખમો વિશે જાણ જ નથી કે પરવા જ નથી. અથવા તો જેમ દરેક બાબતમાં બને છે એમ ઝેરી હવામાં શ્વાસ લેવાને પોતાની કિસ્મત ગણીને આ સમસ્યા સામે હથિયાર નાખી દીધાં છે.

દેશના લોકો પ્રદૂષણ મુદ્દે કોઇ વાત જ કરતા નથી જેના પરિણામે પર્યાવરણને લગતા મુદ્દા માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે અને દેશની નદીઓને પ્રદૂષણમુક્ત કરવાના દાવા થાય છે પરંતુ પ્રજાની ભાગીદારી વગર આવા અભિયાનો વધારે ચાલતા નથી અને શ્વાસમાં જતી હવાની ગુણવત્તા સતત ખરાબ થઇ રહી છે. દેશની રાજધાની દરેક શિયાળાની ઋતુ પહેલાં રેકોર્ડ-બ્રેકિંગ પ્રદૂષણ સ્તરો સાથે ઝઝૂમી રહી છે, અને તેને રોકવાના પ્રયત્નો દર વર્ષે ઓછા પડે છે અને દેશના દરેક શહેરમાં વાયુ પ્રદુષણના નવા રેકોર્ડ બની રહ્યા છે. જેની સીધી અસર લોકોના જીવનની ગુણવત્તા પર પડે છે. દેશના મોટા રાજ્યોના મોટાશહેરોમાં પ્રદુષણના કારણે લોકોની હાલત દિન પ્રતિદિન કફોડી બનેલી છે. લોકોને શ્વાસ લેવાની તકલીફ છે. આવી સ્થિતીમાં પહેલાથી જ અસ્થમાની તકલીફ ધરાવતા લોકોની હાલત કફોડી બની રહી છે. જ્યારે બીજી બાજુ નવા અસ્થમાના દર્દીઓ વધી રહ્યા છે. આવી સ્થિતીમાં આરોગ્ય નિષ્ણાંતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં હાલમાં પ્રદુષણની ચિંતાજનક સપાટી જોવા મળી રહી હતી. જેના કારણે લોકો જાહેર રસ્તા પર આવ ગયા હતા. સાદા શબ્દોમાં કહીએ તો આજે પ્રદૂષણના કારણે શ્વાસમાં જે હવા લેવામાં આવે એ જ ઝેર બની ચૂકી છે. દેશભરની હોસ્પિટલોમાં શ્વાસના રોગોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે.

વધતા જતા પ્રદૂષણ સામે અસરકારક પગલા લેવા આવશ્યક બની ગયા છે. વાતાવરણમાં જ્યારે અતિ ભારે માત્રામાં ઝેરી કણો ભળેલા હોય ત્યારે જીવનું જોખમ આવી પડે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે જોખમ ઘણું વધી જાય છે. સ્મોગમાં રહેલા સૂક્ષ્મ કણો શ્વાસની સાથે શરીરમાં જતાં ગંભીર પ્રકારના બ્રોન્કાઇટિસ, ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારી જેવા જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. અસ્થમાના દર્દીઓને હુમલાનું પ્રમાણ વધી જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓને બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે. આ સાથે જ ખાંસી, શરદી, છાતીમાં દુઃખાવો, ચામડીના રોગો, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ પણ થાય છે. આજે દેશના અનેક બાળકો ફેફસાંની કોઇ બીમારીથી પીડાય છે. બે વર્ષથી વધારે વયના બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધ્યું છે. હવાઈ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આના કારણે હાર્ટ સાથે સંબંધિત રોગ, ફેંફસાના કેન્સર, અસ્થમા અને શ્વાસ લેવાની તકલીફ તેમજ અન્ય ઇન્ફેક્શન રોગોનો સમાવેશ થાય છે.

ઘણા શહેરી વિસ્તારોમાં આ તમામ રોગ સામાન્ય બની ચૂક્યા છે. કેટલાક શહેરોમાં પ્રદૂષણની સપાટી ડબલ્યુએચઓની માર્ગદર્શિકાની સરખામણીમાં ૧૫ ઘણી વધારે છે. વિકાસશીલ અને વિકસીત બંને દેશોમાં હવાઈ પ્રદૂષણ માટે જે પરિબળો જવાબદાર છે તેમાં વાહન પરિવહન, નાના પાયાના ઉદ્યોગો અને અન્ય મોટા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઉપરાંત બાયોમાસ સળગાવવા અને કુકીંગ માટે કોલસાને લઈને પણ પ્રદુષણ ફેલાય છે. હવાઈ પ્રદુષણમાં અન્ય ઘણા પરિબળો પણ યોગદાન આપે છે. ડબલ્યુએચઓએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સોમવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં ઘણી બધી વિગતો જાહેર કરાઈ છે. પ્રદુષણના કારણે આટલી સંખ્યામાં લોકોના મોતને લઇને પણ વિશ્વના દેશો ચિંતાતુર છે. શહેરોમાં જે રીતે વિકાસ વધી રહ્યો છે તેના પગલે ઇમારતોના બાંધકામમાં ભારે વધારો થયો છે. આવી ઇમારતોના નિર્માણસ્થળ આસપાસ ધૂળના ઢગલાં જામેલાં હોય છે જે પણ પ્રદૂષણમાં ભારે વધારો કરે છે. ઉપરાંત પાવર પ્લાન્ટોમાં વપરાતા કોલસાના બળતણના કારણે જે પ્રચંડ પ્રમાણમાં ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે તેની તો ગણતરી કરવી જ મુશ્કેલ છે.

જેમ જેમ શહેરોનો વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ આવા શહેરોની વસતી પણ કૂદકેને ભૂસકે વધી રહી છે. કારણ એ કે રોજીરોટી કમાવાના આશય સાથે આસપાસના ગામડાઓના લાખો લોકો આવા શહેરોમાં પહોંચતા હોય છે. વસતી વધતા કુદરતી સંસાધનો પર બોજ વધે છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે, કારણ કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે વૃક્ષો મોટા પાયે કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે પ્રદુષણ વધે છે. વૃક્ષારોપણ માત્ર દેખાવવા પુરતા હાથ ધરવા જોઇએ નહી. તેના તરફ ગંભીરતા જરૂરી છે. ભારતમાં પ્રદૂષણની સમસ્યા અલગ રીતે ચિંતાજનક છે. દેશની ગંભીર સ્થિતિ સમજવા માટે તેના સ્વરૂપને સમજવું પડશે. કારણ અને અસરની દૃષ્ટિએ હાલની સ્થિતિ ભોપાલ દુર્ઘટના જેટલી સ્પષ્ટ નથી. માનવસર્જિત કારણોને લીધે પ્રદૂષણ વધી રહ્યું છે અને તેની અસર મોટાભાગે અપ્રત્યક્ષ  છે.

જો સ્ત્રોતોની વાત કરીએ તો વાહનથી નીકળતું મોટાપાયે પ્રદૂષણ, ઉર્જા ઉત્પાદનના મોટા ઉદ્યોગોથી લઈ ઈંટોના નિર્માણ જેવા નાના ઉદ્યોગ, નિર્માણ ઉદ્યોગો અને રસ્તાઓમાંથી ઉડતી ધૂળ, વગેરે અનેક માનવીય પ્રવૃત્તિઓ જીવાશ્મ અને જૈવિક ઈંધણના સળગવાથી થતું પ્રદુષણ સાથે જંગલોમાં આગ જેવી પ્રાકૃતિક સ્ત્રોતો અને કાપણીના મોસમમાં ખુલ્લા ખેતરોમાં આગથી પ્રદૂષણને એક વિશાળ રૂપ આપે છે. જે તમામ પરિબળો પ્રદુષણ માટે જવાબદાર છે.પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે વ્યાપક અને મોટા પાયે કામ કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, બાંધકામ ઉદ્યોગમાં, એવી પદ્ધતિઓ દૂર કરવી જાઈએ જેમાં વાતાવરણમાંની ધૂળ ઓછી થાય. અશ્મિભૂત ઇંધણના વિકલ્પો શોધવા અને તેને લોકો માટે ઉપલબ્ધ બનાવવા તેમજ તેનો ઉપયોગ સરળ બનાવવો. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક વાહનોએ ચાર્જિંગને સરળ અને સુલભ બનાવવું પડશે.

પ્રદૂષણની ગંભીરતા વિશે લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય પર્યાવરણ દિવસ આપણને યાદ અપાવે છે કે પર્યાવરણને હળવાશથી લેવું એ મોટી સજા હોઈ શકે છે. કોવિડ-૧૯ રોગચાળાએ આપણને ઘણા પાઠ આપ્યા છે અને આપણી પોતાની સમસ્યાઓ પ્રત્યે ગંભીર બનવાનું શીખવ્યું છે.