ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં કબૂતરનાં ચરકથી વૃદ્ધનું મોત નિપજ્યું

વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા જેથી ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાં


સુરતઃ સુરત શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં કબૂતરની હગાર એટલેકે, ચરકને કારણે એક વૃદ્ધનું મોત નિપજ્યું. જાણીને નવાઈ લાગશે પણ આ કિસ્સામાં સાચે જ વૃદ્ધની મોત પાછળ કબૂતરની ચરક જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે.

વાત જાણે એમ છેકે, સુરતમાં ૬૮ વર્ષના એક વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા. આ વૃદ્ધને બે વર્ષ અગાઉ હાઈપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું ઇન્ડક્શન થયું હતું. આ ઈન્ફેક્શન કબૂતરની હગાર એટલેકે, ચરકને કારણે થતું હોય છે. આ વખતે એ ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાં.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર ધીમે ધીમે ઈન્ફેક્શન વધવા સાથે ઓક્સિજનનું લેવલ ઘટતું જાય છે. આ વૃદ્ધનું કબૂતરની હગારથી લાગેલા ઇન્ફેક્શનને કારણે મૃત્યુ થયાનું નિદાન કરવામાં આવ્યું છે. નિષ્ણાત ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની એલર્જી વ્યક્તિએ ખાસ કાળજી રાખવી જોઈએ. તેમને કબૂતરની હગારમાં રહેલા બેક્ટેરિયાથી ઈન્ફેક્શન લાગવાનું જોખમ વધુ હોય છે. જો કોઈ વ્યક્તિ સતત કબૂતરના સંપર્કમાં હોય અને લાંબા સમયથી ખાંસી આવે તેમજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાત્કાલિક તપાસ કરાવી નિદાન કરાવવું જોઈએ. સમયસર નિદાન થાય તો ઈન્ફેક્શન જીવલેણ બનતું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૬૮ વર્ષના પંકજ દેસાઈ વર્ષોથી કબૂતરને ચણ નાખતા હતા. તેમના ફેફસાંમાં ઊંડે સુધી ઇન્ફેક્શન ફેલાઈ ગયું હોવાને કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. હગારમાં રહેલા બેક્ટેરિયા ફેફસાંમાં ફેલાઈ જાય છે. આવા ઈન્ફેક્શનને હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનાઈટિસ કહેવાય. કબૂતરની હગારમાંથી બેક્ટેરિયા ફેફસાંમાં પહોંચી એલર્જી પેદા કરે છે. શરૂઆતમાં તાવ, ખાંસી, શ્વાસની તકલીફ થાય છે. આ ઈન્ક્યોરેબલ ડિસીઝ છે અને ફાઈબ્રોઈડ ડેવલેપ કરે છે. ફાઈનલ ટ્રીટમેન્ટમાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે છે. કબૂતરને રોજ ચણ નાખતી મહિલા દર્દી વધુ છે. ઈન્ફેક્શન થતાં રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.