પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા

ગાંધીનગર: ગુજરાતના પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા છે. આઇઆઇટી‌ ખડગપુર અને એએસઆઇના નેતૃત્વમાં છેલ્લાં ૭ વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે. આઈઆઇટી ખડગપુરના ભૂસ્તરશાસ્ત્રી અને ભૂ-ભૌતિકશાસ્ત્રીના પ્રોફેસર ડૉ. અનિન્થ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે વડનગર એ સૌથી જૂનું ગામ છે, જ્યાં ૮૦૦ ઇસા પૂર્વ (ખ્રિસ્તી યુગ પહેલાં) માનવ વસવાટના પુરાવા છે. તેમની ટીમે ૨૦ મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરીને ઘણા મહત્વપૂર્ણ પુરાવા એકઠા કર્યા છે.

પ્રોફેસર ડૉ. અનિન્થ સરકારે જણાવ્યું હતું કે વડનગરમાં સઘન પુરાતત્વીય ખોદકામનો અભ્યાસ એ પણ સૂચવે છે કે આ લાંબા ૩,૫૦૦ વર્ષો દરમિયાન વિવિધ સામ્રાજ્યોનો ઉદય અને પતન તથા મધ્ય એશિયાના યૌદ્ધાઓ દ્વારા ભારત પર વારંવાર આક્રમણ થયું હતું. ટીમ છેલ્લાં ૪-૫ વર્ષથી વડનગરમાં એએસઆઇ સાથે કામ કરી રહી છે. એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. એએસઆઇ ૨૦૧૬થી કામ કરી રહ્યું છે, ૨૦ મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડનગર ભારતનું એકમાત્ર પુરાતત્વીય સ્થળ છે જ્યાં પ્રારંભિકથી મધ્યયુગીન ઈતિહાસ સંપૂર્ણપણે સચવાયેલો છે અને જેનો ચોક્કસ ઘટનાક્રમ હવે જાણીતો છે. ડૉ. અનિન્ધ સરકારે કહ્યું, “અમારી તાજેતરની કેટલીક અપ્રકાશિત રેડિયોકાર્બન તારીખો સૂચવે છે કે આ વસાહત ૧૪૦૦ BC અથવા ૧૫૦૦ BC જેટલો જૂનો હોઈ શકે છે, જે ઉત્તર-શહેરી હડપ્પન કાળના અંતિમ ચરણના સમકાલીન છે. આ છેલ્લાં ૫ હજાર વર્ષથી ભારતમાં સાંસ્કૃતિક સાતત્ય દર્શાવે છે અને અંધકાર યુગ એક દંતકથા હોઈ શકે છે.”

તેમણે કહ્યું, “અમારા આઇસોટોપ ડેટા અને વડનગરના સાંસ્કૃતિક સમયગાળાની તારીખો દર્શાવે છે કે આ તમામ આક્રમણો ચોક્કસ તે જ સમયે થયા હતા જ્યારે કૃષિ ભારતીય ઉપખંડ મજબૂત ચોમાસા સાથે સમૃદ્ધ હતો, પરંતુ મધ્ય એશિયા અત્યંત શુષ્ક અને નિર્જન હતું, જ્યાં વારંવાર દુષ્કાળ પડતો હતો, જ્યાંથી લગભગ તમામ આક્રમણ અને સ્થળાંતર થયા.

દરમિયાન પુરાતત્વ વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. વડનગરમાં પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી ખોદકામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. તેનું કારણ એ છે કે તે એક જીવંત શહેર છે કારણ કે તેના વોટર મેનેજમેન્ટને કારણે સિસ્ટમ અને સ્તર સારૂં છે.” લગભગ ત્રણ વર્ષ પહેલાં વડનગરમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન ત્રીજી અને ચોથી સદીના બૌદ્ધ સ્તૂપના અવશેષો અને સાતમી-આઠમી સદીનાં માનવ હાડપિંજર મળી આવ્યાં હતાં. આ માનવ હાડપિંજર સાતમી-આઠમી સદીનું હોવાનું કહેવાય છે. ખોદકામ દરમિયાન, ત્રીજી અને ચોથી સદીનો પ્રતીકાત્મક બૌદ્ધ સ્તૂપ પણ મળી આવ્યો હતો.

વડનગર લગભગ ૨૫૦૦-૩૦૦૦ વર્ષ જૂનું છે વડનગર ગુજરાતનું એક પ્રાચીન શહેર છે. તેનો ઇતિહાસ લગભગ ૨૫૦૦થી ૩૦૦૦ વર્ષ જૂનો છે. પુરાતત્વવિદોના મતે અહીં હજારો વર્ષ પહેલાં ખેતી થતી હતી. ખોદકામ દરમિયાન અહીંથી માટીનાં વાસણો, ઝવેરાત અને વિવિધ પ્રકારનાં સાધનો અને હથિયારો મળી આવ્યાં છે જે હજારો વર્ષ જૂનાં છે. ઘણા પુરાતત્વવિદો માને છે કે આ હડપ્પન સંસ્કૃતિના પુરાતત્વીય સ્થળો પૈકીનું એક છે. હડપ્પન સંસ્કૃતિને ભારતની સૌથી જૂની સંસ્કૃતિ માનવામાં આવે છે. વડનગરમાં મધ્યકાલીન સમયગાળા સાથે સંબંધિત સ્મારકો પણ મોજૂદ છે. આમાં સૌથી ખાસ કીર્તિ તોરણ છે. તે સોલંકી રાજાઓએ બંધાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તે કોઈ વિજયની યાદમાં બાંધવામાં આવ્યું હોવું જાઈએ. શર્મિષ્ઠા તળાવના કિનારે બનેલ આ કમાનમાં બે ગોળાકાર સ્તંભો છે જેના પર શિકાર અને યુદ્ધની સાથે પ્રાણીઓના શિલ્પ પણ છે. તેમના પર દેવતાઓની પ્રતિમાઓ પણ છે.