પાલનપુર કલેકટર દ્વારા પક્ષીઓને બચાવવા અભિયાનની બેઠક યોજાઈ

ઉત્તરાયણનો તહેવાર પશુ-પક્ષી અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવીએ પરંતું આપણે સૌ સાથે મળીને કેટલીક નાની બાબતો ઉપર ધ્યાન આપીએ તો ઘણા પક્ષીઓના જીવ બચાવી શકાય તેમ છે. તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, પક્ષીઓના જીવ બચાવવા ચાઇનીઝ દોરીઓ અને તુક્કલનો ઉપયોગ ન કરવામાં આવે તેની તેકદારી રાખીએ. તેમણે કહ્યું કે, સવારે પક્ષીઓ માળામાંથી બહાર ચણવા નીકળે ત્યારે અને સાંજે પોતાના માળામાં પરત ફરે તેવા સમયે પતંગ નહીં ઉડાવવા લોકોમાં અવેરનેસ લાવવામાં આવે.

આ ઉપરાંત ઉત્તરાયણની સાંજે તુક્કલ ન ઉડાવવા અને ફટાકડા ન ફોડવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.ઉત્તરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓને બચાવવા વન વિભાગ દ્વારા યોજાનાર કરૂણા અભિયાન-૨૦૨૨ની પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગ દ્વારા વોટસઅપ હેલ્પલાઇન નં.૮૩૨૦૦૦૨૦૦૦ શરૂ કરવામાં આવ્યો છે.

જેના પરથી સારવાર કેન્દ્રોનો સંપર્ક કરી ઘાયલ પક્ષીઓને સારવાર અપાવી શકાશે. વન વિભાગ દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમ સહિત તમામ તાલુકાઓ અને પોલીસ તથા યુ.જી.વી.સી.એલ. દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.