સુરતના અડાજણમાં ફ્રિજમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી

સુરતના અડાજણ વિસ્તારમાં વિશાલ નગરમાં શોર્ટ સર્કિટ બાદ આખું ઘર સળગી ગયું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોધાય ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે. પાડોશીની જાગૃતતાને લઈ કિનારી પરિવાર સમયસર સળગતા ઘરના બીજા માળેથી નીચે બહાર નીકળી જવામાં સફળ થયું હોવાનું જાણવા મળ્યું છે.

મુકુંદભાઈ ગજ્જર એ જણાવ્યું હતું કે, વહેલી સવારે આંખ ખુલી જતા કંઈ બળવાની દુર્ગંધ આવી હતી. પહેલા પોતાના ઘરમાં તપાસ કર્યા બાદ પાડોશીના ઘર પર નજર પડતા ધુમાડો નીકળી રહ્યો હોવાનું જોયું હતું. તાત્કાલિક દોડીને બૂમાબૂમ કરી બીજા માળે સૂતેલા કિનારી પરિવારની બે દીકરીઓ અને પતિ-પત્નીને જગાડી બહાર કાઢી લીધા હતા. ત્યાં સુધીમાં આગ ઉગ્ર બની ગઈ હતી. ત્યારબાદ ફાયર ને જાણ કરી ગેટ પર દોડી ગયો હતો. ફાયરને સાથે લઈ ઘટના સ્થળે આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો.