ચરોતરમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે

ચરોતરમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે પાણી પર તેની અસર અંગે હવામાન નિષ્ણાત અને મદદનીશ પ્રોફેસર એસ. પી. યાદવે જણાવ્યું હતું કે, આણંદ કૃષિ હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં તાપમાન માપવાની સાથે પાણીનું ટેમ્પરેચર પણ માપવામાં આવે છે. ઠંડી હવાની અસર પાણી પર થતી હોય છે. લઘુત્તમ તાપમાન ૭ ડીગ્રી હોય ત્યારે ઘરમાં પીવાના ગ્લાસમાં લાંબો સમય સુધી પાણી રહે તો તેનું તાપમાન દોઢ ડિગ્રી જેટલું ઘટી જાય છે. જ્યારે ડોલ કે ટબમાં પાણી જથ્થો વધુ હોવાથી તેનું તાપમાન ૧ ડિગ્રી ઘટે છે. ઘરના વાસણોમાં ભરેલા પાણીનું તાપમાન કયારે ૫ ડીગ્રી સુધી પણ ઘટી જતું હોય છે. ઘરની અગાસમી પીવાના પાણીનો જથ્થો ૧૦૦ લિટર લઇને ૧૦૦૦ લીટર હોવાથી તેના તાપમાનમાં ૧ ડીગ્રીની આસપાસ ઘટાડો જોવા મળે છે.

ગામમાં આવેલા તળવામાં એમએલટીમાં પાણીનો જથ્થો હોવાથી તેમાં તાપમાનની અસર જુદી જોવા મળે છે. ખાસ કરીને તાપમાન ૭ ડીગ્રી આસપાસ હોય ત્યારે તળાવના ઉપરના દોઢ ફૂટ સુધીનું પાણીના પારો ૭ ડીગ્રી કે તેથી ઓછો જોવા મળે છે. તેથી પાણી ઠંડુ લાગે છે. પરંતુ દોઢ ફૂટથી નીચેના પાણીનું તાપમાન ૯ થી ૧૧ ડીગ્રી જેટલું ઊંચું હોય છે. એટલે તે હુંફાળુ લાગે છે. તેવી રીતે કુવામાંથી ઘરમાં આવતાં પીવાનું પાણી પ્રમાણમાં હુંફાળું હોય છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહત્તમ તાપમાન ૨૪.૦૫,લઘુત્તમ તાપમાન ૭.૦૩ અને પવનની ગતિ ૨.૦૭ કિમીની નોંધાઇ છે. જયારે ભેજનું પ્રમાણ ૮૪ ટકા નોંધાયું છે.

હવામાન વિભાગના ડો. મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. લઘુત્તમ તાપમાન ૧૦ ડીગ્રીની આસપાસ રહેશે.જયારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીમાં થોડી રાહત મળશે.શિયાળામાં ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ઠંડીનું જોર વધુ હોય તાપમાન ૧૦ ડીગ્રીથી નીચું રહે છે. આવા સંજોગોમાં ઘર વપરાશમાં વપરાતું પાણી વધુ ઠંડું હોવાથી મહિલાઓને કામ કરવામાં ખૂબ મુશ્કેલી થતી હોય છે. ઘરની અગાસીમાં આવેલી ટાંકીનું બાહ્ય વાતાવરણ કરતાં એક ડીગ્રી વધુ ઠંડું હોય છે, પરંતુ વાસણમાં ભરેલું પાણી તેથી પણ વધુ ઠંડું હોય છે. સંગ્રહિત પાણી પર એના જથ્થા મુજબ વાતાવરણની અસર વર્તાતી હોય છે, એમ આણંદ કૃષિ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે.