સુરતના ઓલપાડના કુડસદ ગામે બે ઘરમાં આગ ભભૂકી, વાડામાં બાંધેલા બે બકરાના મોત થયા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે રાત્રીના સમયે એક મકાનમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ બાજુના મકાનમાં પણ પ્રસરી ગયી હતી.આગના કારણે બંને મકાનોમાં ભારે નુકસાન થયું હતું. જ્યારે મકાનની બાજુમાં રાખવામાં આવેલ બકરાઓ આગની જ પેટમાં આવ્યા હતા. બે બકરાના આગમાં દાજી જવાથી મોત થયા છે. જયારે ૭થી ૮ બકરા ઈજાગ્રસ્ત થયા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામ ખાતે આવેલા નવાપરા ફળીયામાં પતરાવાળા મકાનમાં રહેતા ગણેશભાઈ સોમાભાઈ વસાવા અને અલ્પેશભાઈ મંગાભાઈ વસવાના ઘરમાં રાત્રીના સમયે એકાએક આગ લાગી હતી. રાત્રીના ૨થી ૩ વાગ્યાના અરસામાં પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો. તે દરમ્યાન કોઈ કારણોસર ઘરમાં આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરિવારમાં નાસભાગ મચી ગઈ હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ એક ઘરમાંથી બીજા ઘરમાં પ્રસરી હતી. આગ લાગતા જ પરિવારના સભ્યો જાગીને બહાર દોડી આવ્યા હતા. ઘરમાં એક વૃદ્ધ પણ હતા. તેઓને પણ હેમખેમ બચાવી લીધા હતા.

બીજી તરફ આગ લાગતા જ ફળીયામાં અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવી જાતે જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં ઘરના વાળામાં રહેલ બકરાવો આગની ચપેટમાં આવી ગયા હતા. જેમાં ત્યાં રહેલા બે બકરાના મોત થયા હતા.જયારે ૭થી ૮ જેટલા બકરાઓ ઈજાગ્રસ્ત થયા હતા. એક સાથે બે ઘરમાં આગ લાગતા ઘરમાં રહેલી ટીવી, ઘર વખરી સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઉપરાંત ઘરની બહાર રાખવામાં આવેલ બાઈક પણ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. આખે આખું ઘર બળી જતા પરિવાર મુસીબતમાં મુકાયો હતો. જયારે આગના કારણે બે બકરાઓના મોત પણ નીપજ્યા હતા. જો કે ઘરમાં આગ ક્યાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું ન હતું