તુર્કી સતત ભૂકંપના આંચકાથી ૧૦ ફૂટ ખસી ગયું, ૮૦૦૦ લોકોના મૃત્યુ, આંકડો વધે તેવી આશંકા

તુર્કી માટે અઠવાડિયાનો પહેલો દિવસ આફત લઈને આવ્યો. વહેલી સવારે ૪.૧૭ મિનિટ પર ભૂકંપના પહેલા ઝટકાએ અનેક જિંદગીઓ બુઝાવી નાખી. ત્યારબાદ  આવી રહેલા સતત ભૂકંપના ભીષણ આંચકા અને આફ્ટરશોકે અનેક મોટા શહેરોને કાટમાળમાં ફેરવી દીધા. આ બધા વચ્ચે એક્સપર્ટ્‌સે જણાવ્યું કે ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેનાથી તુર્કી ૧૦ ફૂટ સુધી ખસી ગયું છે. ઈટલીના ભૂકંપ વૈજ્ઞાનિક ડો. કાર્લો ડોગ્લિયોનીએ જણાવ્યું કે સીરિયાની સરખામણીમાં તુર્કીની ટેક્ટોનિક પ્લેટ્‌સ પાંચથી છ મીટર સુધી સરકી હોઈ શકે છે. હકીકતમાં તુર્કી અનેક પ્રમુખ ફોલ્ટલાઈન પર સ્થિત છે જે એનાટોલિયન પ્લેટ, અરેબિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ સાથે જોડાયેલું છે. જેના કારણે અહીં ભૂકંપ આવવાનું જોખમ વધુ રહે છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એનાટોલિયન પ્લેટ અને અરેબિયન પ્લેટની વચ્ચે ૨૨૫ કિલોમીટરની ફોલ્ટલાઈન તૂટી ગઈ છે. તેમણે કહ્યું કે જો કે હજુ સુધી પ્રાથમિક ડેટાના આધાર પણ આવું કહેવામાં આવી રહ્યું છે. આગામી કેટલાક દિવસોમાં સેટેલાઈટ્‌સથી વધુ સટીક જાણકારી મળી શકશે. ડરહમ યુનિવર્સિટીના સ્ટ્રક્ચરલ જિયોલોજીના પ્રોફેસર ડો.બોબ હોલ્ડવર્થે કહ્યું કે ભૂકંપની તીવ્રતા જોતા ટેક્ટોનિક પ્લેટનું શિફ્ટ થવું તર્કસંગત છે. હકીકતમાં ભૂકંપની તીવ્રતા અને ટેક્ટોનિક પ્લેટ્‌સના સરકવા વચ્ચે સીધે સીધો સંબંધ છે. તેમાં કઈ પણ એવું નથી કે અટપટું લાગે. અત્રે જણાવવાનું કે સોમવારે સવારે ચાર વાગ્યા બાદથી અત્યાર સુધીમાં તુર્કીમાં ૫૫૦ વાર ધરતી ધ્રુજી છે.

તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં ભૂકંપથી ૭૭૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ અર્દોગને દેશના દસ પ્રાંતોમાં ત્રણ મહિના માટે કટોકટી લાગૂ કરી છે. સ્કૂલોને ૧૩ ફેબ્રુઆરી સુધી બંધ કરાઈ છે. ભારત સહિત ૭૦ દેશોએ  તુર્કી માટે મદદનો હાથ આગળ વધાર્યો છે. તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપથી અત્યાર સુધીમાં ૮૦૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. તુર્કીમાં ૫૮૯૪ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ૩૪૮૧૦ લોકો ઘાયલ છે. જ્યારે વીદ્રોહીઓના નિયંત્રણવાળા સીરિયામાં ૧૨૨૦ લોકોના જીવ ગયા છે. જ્યારે સીરિયાની સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં ૮૧૨ લોકોના મોત થયા છે. તુર્કીમાં ભૂકંપથી લગભગ ૬૦૦૦ ઈમારતો તબાહ થઈ છે. જ્યારે સીરિયામાં ૪૦૦ બિલ્ડિંગ સીરિયામાં જમીનદોસ્ત થઈ છે. જ્યારે ૧૨૨૦થી વધુ ઈમારતોને નુકસાન થયું છે.  ભૂકંપમાં તુર્કીની ઐતિહાસિક મસ્જિદ પણ તબાહ થઈ ગઈ. તુર્કીના માલાટયા શહેરમાં આવેલી આ ઐતિહાસિક યેની કૈમી મસ્જિદ ખંડરમાં ફેરવાઈ. આ મસ્જિદ ૧૦૦ વર્ષ જૂની હતી પરંતુ ભૂકંપથી જમીનદોસ્ત થઈ ગઈ. ૧૦૦ વર્ષ જૂની આ મસ્જિદ હવે કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. WHO એ તુર્કી અને સીરિયામાં મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરી છે.

WHO એ તુર્કી અને સીરિયામાં ૨૦ હજારથી વધુ લોકોના માર્યા ગયા હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. એટલું જ નહીં સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે બંને દેશોમાં ૨.૩ કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હોઈ શકે છે. તુર્કીનો મોટાભાગનો હિસ્સો એનાટોલિયન પ્લેટ પર છે. આ પ્લેટની પૂર્વમાં ઈસ્ટ ઈનાટોલિયન ફોલ્ટ છે. ડાબી તરફ ટ્રાન્સફોર્મ  ફોલ્ટ છે. જે અરેબિયન પ્લેટ સાથે જોડાય છે. દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમમાં આફ્રીકન પ્લેટ છે જ્યારે ઉત્તર દિશા તરફ યુરેશિયન પ્લેટ છે. જે ઉત્તર એનાટોલિયન ફોલ્ટ ઝોન સાથે જોડાયેલું છે.   તુર્કીની નીચે રહેલી એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ ઘડિયાળની વિપરિત દિશામાં ઘૂમી રહી છે. એટલે કે એન્ટી ક્લોકવાઈઝ. આ સાથે જ તેને અરેબિયન પ્લેટ ધક્કો મારી રહી છે. હવે આ ઘૂમતી એનાટોલિયન પ્લેટને જ્યારે જ્યારે અરેબિયન પ્લેટ ધક્કો મારે છે ત્યારે તે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. ત્યારે ભૂકંપના જોરદાર આંચકા આવે છે.