૧૧૩ કામદારોને નોટીસ વગર છૂટા કરી દેવાતા ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા

જામનગર: જામનગરમાં ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. કામદારોના આમરણાંત આંદોલનનું કારણ કે સિમેન્ટ કંપનીએ ઓક્ટોબર માસમાં ૧૧૩ કામદારોને કામ પરથી છૂટા કરી દીધા હતા. જેને લઇ રોષનો માહોલ ફેલાયો છે. ત્યારે કામદારો વિરોધ પર ઉતર્યા છે. તમામ કામદારોને પરત કામ પર રાખીને નોકરી કાયમી કરવામાં આવે તેવી માગ સાથે કામદારોએ આંદોલન કર્યા છે. સાથે જ જેટલા દિવસો કામદારો અળગા રહ્યા છે. તેની પણ ચૂકવણી કરવામાં આવે તેવી માગ કરી છે.

વધુમાં તેમણે આક્ષેપ કર્યા છે કે પેઢીએ કોઇ પણ નોટિસ આપ્યા વિના છૂટા કરી દીધા છે. જો કંપની યોગ્ય નિર્ણય નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. કામદારો સમગ્ર મામલે ખાનગી સિમેન્ટ કંપની અને કોન્ટ્રાક્ટરો સામે રોષ ઠાલવી રહ્યા છે.