દેશમાં કોરોના પોઝીટીવની સામે સ્વસ્થ થયાની સંખ્યા વધી

દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ૨૨,૦૨,૪૭૨ છે, જે કુલ કેસના ૫.૪૬ ટકા છે. ચિંતાનો વિષય છે કે કોવિડ પોઝિટિવીટિ દર હજુ પણ ઊંચો છે. ડેટા અનુસાર, ભારતમાં દૈનિક પોઝિટિવીટિ દર ૧૯.૫૯ ટકા પર યથાવત છે. બીજી તરફ કોવિડ સામે લડવા માટે રસી એક મોટા હથિયાર તરીકે સામે આવી છે. આવી સ્થિતિમાં, દેશમાં લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે. ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં ૧,૬૩,૮૪,૩૯,૨૦૭ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ-૧૯ના ૨,૮૫,૯૧૪ નવા કેસ નોંધાયા હતા. આ રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા ચાર કરોડને વટાવી ગઈ છે. આ સમયગાળા દરમિયાન ૬૬૫ લોકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના નવા કેસોમાં એક હજારથી વધુનો વધારો થયો છે. પરંતુ મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ૯૩.૩૩ ટકા છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર ૧૭.૭૫ ટકા છે.

સરકારી સૂત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં કોરોનાનો ગ્રાફ નીચે જઈ શકે છે. ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરના રોજ ૯૦ લાખને વટાવી ગયા હતા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, ૪ મેના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને ૨૩ જૂન, ૨૦૨૧ના રોજ, ત્રણ કરોડને વટાવી ગઈ હતી. તે જ સમયે બુધવારે, કેસ ચાર કરોડને વટાવી ગઈ છે.ભારતમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થવાની પ્રક્રિયા ચાલુ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૨,૮૬,૩૮૪ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૫૭૩ લોકોના મોત થયા છે. રાહતની વાત છે કે છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા કરતા વધુ લોકો કોરોના વાયરસથી સ્વસ્થ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૦૬,૩૫૭ લોકોએ કોવિડ-૧૯ને માત આપી છે અને સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.