કોવેક્સિન રસીને પાંચ ઓક્ટોબરે મંજૂરી અપાશે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના સહકારમાં હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક દ્વારા કોવાક્સિન રસી વિકસાવવામાં આવી છે. દરમ્યાન યુએસએમાં એફડીએ દ્વારા ૬૫ વર્ષ કરતાં વધારે વયના વ્યક્તિઓને ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીના બંને ડોઝ  લીધાના છ મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવાનો ર્નિણય સલાહકાર સમિતિ સ્તરે લેવામાં આવ્યો છે.  દરમ્યાન યુકેમાં આરોગ્ય પ્રધાન સાજિદ જાવેદે યુકેની હોસ્પિટલોમાં આવતા સપ્તાહથી  રોનાપ્રિવ નામની એન્ટીબોડી સારવાર ઉપલબ્ધ થશે તેવી જાહેરાત કરી હતી. ગયા વર્ષે યુએસના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાને ચેપ લાગ્યો ત્યારે તેમને આ રોનાપ્રિવ નામની એન્ટીબોડી સારવાર આપવામાં આવી હતી. શરૂઆતમાં કોરોના વાઇરસ સામે જેમનામાં એન્ટીબોડી રિસ્પોન્સ પેદાં ન થયો હોય તેમને બે મોનોક્લોનલ એન્ટીબોડીનું કોમ્બિનેશન રોનાપ્રિવ આપવામાં આવશે.  ખાસ કોરોનાની સારવાર માટે જ બનાવવામાં આવેલી  રોનાપ્રિવ એ પહેલી એન્ટીબોડી મેડિસિન છે જેને યુકેમાં વાપરવા માટે મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટસ રેગ્યુલેટરી એજન્સીની મંજૂરી મળી છે.

આ ઉપરાંત નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા ટોસિલીઝુમાબ અને સેરીલુમાબ નામની એન્ટીબોડી સારવારોને પણ શરૂ કરવામાં આવી છે. કોરોનાનો દર્દી આઇસીયુમાં પ્રવેશે અને ૨૪ કલાકમાં જ તેને આ સારવાર આપવામાં આવે તો મરણનું જોખમ ૨૪ ટકા ઘટે છે.દુનિયામાં કોરોનાના નવા બે લાખ કરતાં વધારે કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૨૨૮,૫૮૭,૪૪૯ થઇ હતી જ્યારે ૩,૪૪૭ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૪૬,૯૫,૭૯૮ થયો હતો. ગઇકાલે યુએસએમાં કોરોનાના નવા ૧,૫૭,૯૨૫ કેસો નોંધાયા હતા અને ૧૯૩૮ જણાના મોત થયા હતા. યુએસએમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪૨,૮૦૦,૪૯૪ થઇ છે  જ્યારે મરણાંક ૬,૯૦,૭૧૫ થયો છે.

કોરોના મહામારીમાં જે દેશોમાં ૫૦ લાખ કરતાં વધારે કેસો નોંધાયા છે તેવા દેશોમાં યુએસએ ૪૨,૭૯૯,૯૦૭, ભારત ૩૩,૪૧૭,૩૯૦, બ્રાઝિલ ૨૧,૧૦૨,૫૩૬, યુકે ૭૪,૦૦,૭૩૯, રશિયા ૭૨,૫૪,૭૫૪,ફ્રાન્સ ૭૦,૨૯,૯૫૯, તુર્કી ૬૭,૯૪,૭૦૦, ઇરાન ૫૪,૦૮,૮૬૦ અને આજેર્ન્ટિના ૫૨,૩૭,૧૫૯નો સમાવેશ થાય છે. જે દેશોમાં કોરોનાનો કુલ મરણાંક સવા લાખ કરતાં હોય તેવા દેશોમાં યુએસએ ૬,૯૦,૭૧૫, બ્રાઝિલ ૫,૮૯,૭૪૪, ભારત ૪,૪૪,૫૬૩, મેક્સિકો ૨,૭૦,૫૩૮, પેરૂ ૧,૯૮,૯૪૮, રશિયા ૧,૯૭,૪૨૫, ઇન્ડોનેશિયા ૧,૪૦,૩૨૩, યુકે ૧,૩૫,૩૧૨,ઇટાલી ૧,૩૦,૨૮૪ અને કોલંબિયા ૧,૨૫,૮૨૬નો સમાવેશ થાય છે. દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હૈદરાબાદની ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસી કોવાક્સિનને ઇમરજન્સીમાં વાપરવાની મંજૂરી આપવાનો ર્નિણય પાંચ ઓક્ટોબર સુધી વિલંબમાં પડે તેમ લાગે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કોવાક્સિનને મંજૂરી આપનાર સ્ટ્રેટેજિક એડવાઇઝરી ગુ્રપ ઓફ એક્સપર્ટસ ઓન ઇમ્યુનાઇઝેશન -સેજ ની બેઠક પાંચમી ઓક્ટોબરે યોજાશે.

સેજના સભ્ય હાન્ના નોહિનેકે જણાવ્યું હતું કે આ બેઠકમાં કોવાક્સિનના પ્રથમ, બીજી અને ત્રીજી ટ્રાયલનો ક્લિનિકલ ડેટા તથા સેફટી, ઇમ્યુનોજિનેસિટી, એફિકસી અને ઇફેકટિ્‌વનેસ વિશેની પોસ્ટ માર્કેટિંગ સ્ટડીઝ પણ રજૂ કરવામાં આવશે જેના આધારે સેજ તેને મંજૂરી આપવાની ભલામણ કરશે.  ભારત બાયોટેક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોવાક્સિનનો ક્લિનિકલ ટ્રાયલ ડેટા એકત્ર કરી લેવાયો છે અને તે જુન ૨૦૨૧થી ઉપલબ્ધ છે. આ ડેટાને જુલાઇના આરંભે મંજૂરી માટે સુપરત કરવામાં આવ્યો છે. અન્ય રસીઓ માટે મંજૂરી મેળવનાર જવાબદાર રસી ઉત્પાદક તરીકે અમે મંજૂરીની પ્રક્રિયા કે તેના માટે લાગતા સમય બાબતે કોઇ ટિપ્પણી કરવા માગતાં નથી.