સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદ,વૃક્ષો ધરાશાયી

ગીર સોમનાથમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાળીયેરીના પાકને ભારે નુકસાન થયુ છે. વર્ષોથી ઉછેરેલી નાળીયેરી તોફાની પવનને કારણે ધરાશાયી થઈ ગઈ છે તો કેટલાક સ્થળે આખે આખા વૃક્ષોનો સોથ વળી ગયો છે. આ ઉપરાંત કેળા,પપૈયા અને શાકભાજી સહિત ઘાસચારામાં પણ ભારે નુકસાન થયુ છે. જેથી ચોમાસા પહેલા જ ખેડૂતોની મુશ્કેલી વધી છે.

બિપરજોય વાવાઝોડું હવે વધુ નુકસાન ન વેરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા સમગ્ર પંથકમાં પાણી-પાણી થઈ ગયું છે. માધુપુર, ગીર, સરસ્વતી નદી વરસાદના કારણે પૂર આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ છે. તંત્રએ વાવાઝોડા અને વરસાદને લઇ લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે.