વાવાઝોડા પહેલા વરસાદે ૧૨ જિલ્લાને ધમરોળ્યા

અરબી સમુદ્રમાં વાવાઝોડુ ‘બિપરજોય’ તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં ૯૦૦ કિલો મીટરનું અંતર કાપીને હવે ૧૯૦ કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના ૪ કિમીની ગતિએ પોરબંદરથી ૨૯૦, દ્વારકાથી ૩૦૦, જખૌ પોર્ટથી ૩૬૦ અને નલિયાથી ૩૭૦ કિલોમીટર દૂરના અંતરે છે. બિપરજોય વાવાઝોડું દરિયા કિનારે ટકરાય એ પહેલા જ આફતના સંકેત આપવા લાગ્યુ છે. નામ જેવું જ તોફાની એવા આ વાવાઝોડાએ નુકસાનીના સંકેત પણ આપી દીધા છે. વાવાઝોડું જેમ કચ્છ નજીક પહોંચી રહ્યુ છે તેમ તેમ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. રઘવાયા બનેલા દરિયાની સાથે સાથે વાયુદેવ પણ કોપાયમાન થયા છે.

ગઈકાલે દિવસભર કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને દીવ-દમણના દરિયામાં ૩૦ ફૂટ સુધીના ઉંચા મોજા ઉછળ્યા. તો ભારે પવનના કારણે દરિયા કિનારો જ નહીં પરંતુ કાંઠાના જિલ્લાઓમાં પણ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો આવતા રહ્યા. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ પડ્યો. તો માળીયા હાટીનામાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. દરિયાદેવ, વાયુદેવ અને ઈન્દ્રદેવના પ્રકોપથી અનેક ઠેકાણે નુકસાની થયાના પણ અહેવાલો આવતા રહ્યા. જો કે દરિયામાં વાવાઝોડાની ગતિમાં ઘટાડો જરુર થયો છે. પરંતુ વહેલી સવારથી જ ફરી એકવાર દરિયામાં ઊંચા મોજા ઉછળવાનું શરુ થયું છે અને જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યુ છે તેમ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે.વાવાઝોડાની તિવ્ર અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ જિલ્લામાં વરસાદ પડ્યો છે. રાજ્યના ૧૨ જિલ્લાના ૬૨ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ૨૪ કલાકમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડમાં ૨૪ કલાકમાં ૮.૫ ઈચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં ૮.૫ ઈચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના મેંદરડામાં ૭.૫ ઈચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ માળીયા હાટીનામાં ૭ ઈચથી વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢના કેશોદમાં ૬.૫ ઈચથી વધુ વરસાદ પડ્યો છે.