ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં શિયાળામાં વરસાદ પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ભરશિયાળે માવઠું વરસ્યું છે. બે દિવસ હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી આપી છે. આ વચ્ચે શનિવારે રાતથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. આ જિલ્લાઓમાં શનિવાર મોડી સાંજથી જ વરસાદનું આગમન થયું છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સાબરકાંઠા જિલ્લામાં ગતરોજ કમોસમી વરસાદ નોંધાયો. જિલ્લાના આઠમાંથી પાંચ તાલુકામાં કમોસમી વરસાદે દસ્તક આપી હતી. આજે સવારે ૪થી ૬ કલાક દરમિયાન કમોસમી વરસાદ નોંધાયો. જેમાં અરવલ્લીમાં પણ માવઠાની અસર જોવા મળી. વહેલી સવારે ધનસુરા, શામળાજી, ઈસરોલ સહિતના તાલુઓમાં વરસાદી માવઠું જોવા મળ્યું. ભિલોડા અને માલપુરમાં પણ વરસાદ નોંધાયો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જિલ્લાના કપાસ, તુવેર સહિતના પાકોને ભારે નુકસાનની ભીતિ છે.

તો વડોદરામાં પણ કમોસમી વરસાદનું આગમન થયું. મોડી રાતે પાદરા પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પાદરા શહેર સહિત કેટલા વિસ્તારમાં શનિવાર મોડી રાતે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરત અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. સુરતના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. તો કરચેલીયા, કાછલ, બારતાડ, મિયાપુર સહિતના વિસ્તારમાં વરસાદ નોઁધાયો. તાપી જિલ્લાના વ્યારામાં પણ કમોસમી વરસાદ આવ્યો.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અડધા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદ પડતાં ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હજી દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. પરંતું આગામી ૪ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું ૧૨ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો અમદાવાદમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક માવઠાની અસર થઈ હતી. જેને કારણે અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની નહીંવત શક્યતાની આગાહી કરી છે. જ્યારે ચાર દિવસ તાપમાનનો પારો ગગડશે. જેનાથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી. પરંતુ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સિવાય શિયાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ દિવસનું મહત્તમ તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થાય છે. આગામી ચાર દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન જણાતા આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.