ઓપરેશન અજયઃ ઈઝરાયેલથી 212 ભારતીય નાગરિકોને લઈને ચાર્ટર્ડ પ્લેન દિલ્હી પહોંચ્યું

નવી દિલ્હી:  પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલ છોડવા ઇચ્છુક 212 ભારતીયોને લઇને પ્રથમ ચાર્ટર ફ્લાઇટ ગુરુવારે ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉપડી હતી અને શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન અજય અંતર્ગત 212 ભારતીય નાગરિકોને આજે સવારે 5.50 કલાકે ઈઝરાયેલથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. હાલમાં લગભગ 20,000 ભારતીયો ઈઝરાયેલમાં ફસાયેલા હોવાની શક્યતા છે અને ભારત સરકારે ઓપરેશન અજય હેઠળ તેમને સુરક્ષિત સ્વદેશ પરત લાવવાનું શરૂ કર્યું છે.

અગાઉ, ગુરુવારે વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં, પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત સરકારનું સંપૂર્ણ ધ્યાન ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા પર છે. તેમણે કહ્યું કે ત્યાં હાજર ભારતીયો કે જેઓ પાછા ફરવા માગે છે તેમને ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. લગભગ 20 હજાર ભારતીયો ઈઝરાયેલમાં ફસાયેલા છે.

એક પ્રશ્નના જવાબમાં, બાગચીએ કહ્યું કે ઓપરેશન અજય પાસે આવવા ઇચ્છતા ભારતીયોની માંગ પર આધારિત હશે. હાલમાં ચાર્ટર ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે. પરંતુ જો ભવિષ્યમાં જરૂર જણાય તો અમારી પાસે તમામ વિકલ્પો છે. ઓપરેશનમાં ભારતીય વાયુસેનાની ભૂમિકાને નકારી શકાય તેમ નથી.